ભારતમાં કોરિયન સ્કિનકૅરનો દબદબો તો છે જ ત્યારે હવે મૉરોક્કન બ્યુટી સીક્રેટમાં બ્લુ પાઉડરનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ બ્લુ કલરનો ફેસમાસ્ક કેટલો કારગર છે અને નિષ્ણાતો આ બાબતે શું માને છે એ જાણીએ
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયામાં છાશવારે અવનવા બ્યુટી હૅક્સની સાથે-સાથે કેટલીક પ્રોડક્ટ્સ પણ વાઇરલ થતી હોય છે અને આ વાઇરલ પ્રોડક્ટ્સના અખતરા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કરતા હોય છે. કોરિયન બ્યુટી હૅક્સ તો બહુ જોયા હશે, પણ હવે ઇન્ટરનેટ પર મૉરોક્કન બ્યુટી સીક્રેટ્સને લોકો પસંદ કરી રહ્યા છે. આ બ્યુટી સીક્રેટમાં ખાસ કરીને ચહેરા પર હાઇપરપિગ્મન્ટેશન એટલે કે ત્વચા પરના ડાઘને દૂર કરવા માટે મૉરોક્કન નીલા પાઉડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્ફ્લુઅન્સર્સ એવો દાવો કરી રહ્યા છે કે મૉરોક્કોના આ બ્લુ કલરના પાઉડરના ફેસમાસ્કનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પરના ડાઘ દૂર થાય છે અને સ્કિન વધુ બ્રાઇટ અને ચમકીલી બને છે. મૉરોક્કન નીલા પાઉડર શું છે અને આ બ્યુટી હૅક ખરેખર કેટલો કારગત છે એ વિશે જાણીએ.
નીલા પાઉડર વિશે જાણવા જેવું
ADVERTISEMENT
નીલા પાઉડર એ હકીકતમાં બ્લુ કલરનો પાઉડર છે જે મૂળ ઇન્ડિગો નામના છોડમાંથી બને છે. ૧૯૧૭માં મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા બળજબરીથી ઇન્ડિગોની ખેતી કરવાના વિરોધમાં સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આજે આ છોડ કાપડ ઉદ્યોગ ઉપરાંત સ્કિનકૅર અને હેરકૅર ઇન્ડસ્ટ્રીના ફાયદાઓ માટે જાણીતો છે. ઇન્ડિગોનો છોડ લીલા કલરનો હોય છે તો એ બ્લુ કલરમાં કેમ વેચાય છે એવો સવાલ પણ ઘણા લોકોને થતો હશે. નીલા પાઉડર ઇન્ડિગોનાં પાંદડાંને આથીને બનાવવામાં આવે છે. મુખ્યત્વે આ પાઉડરનો ઉપયોગ મૉરોક્કો ઉપરાંત નૉર્થ આફ્રિકામાં સ્કિનકૅર અને હેરકૅર રૂટીનમાં વધુ થાય છે. મૉરોક્કોમાં તો નીલા પાઉડરનો ઉપયોગ બ્રાઇડલ સ્કિનકૅર માટે કરવામાં આવે છે. આ ઇન્ડિગો પ્લાન્ટ થોડો અલગ હોય છે. એ ઇન્ડિગોફેરા સફ્રુટિકોસા છોડમાંથી આથ્યા વિના બનાવાય છે. એવું પણ કહેવાય છે કે નીલા પાઉડર સહારાના ખડકાળ પર્વતોમાંથી મળતું કુદરતી ખનિજ છે, એ કુદરતી રીતે જ વાદળી રંગનું હોય છે.
દાવામાં કેટલો દમ?
ઇન્ડિગો પાઉડરનો ઉપયોગ મેંદીમાં મિક્સ કરીને વાળને કલર કરવામાં થાય છે ત્યારે મૉરોક્કોમાં પરંપરાગત રીતે વપરાતા નીલા પાઉડરનો ઉપયોગ સ્કિન બ્રાઇટ કરવા માટે થાય છે. એમાં ઍન્ટિ-ઇન્ફ્લેમેન્ટરી અને ઍન્ટિઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ છે જે ત્વચાની બળતરા, ખંજવાળ અને રૅશિસ જેવી સમસ્યામાંથી રાહત આપે છે. આ ઉપરાંત એ સ્કિનને હાઇડ્રેટેડ રાખવાની સાથે વધુ સૉફ્ટ બનાવે છે. જોકે નીલા પાઉડરના એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે એ હાઇપરપિગ્મન્ટેશન માટે ઉપયોગી છે. નિષ્ણાતોએ પણ આ મામલે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. નીલા પાઉડરના ઉપયોગથી સ્કિન ઇરિટેશન, ઍલર્જી અને પિગ્મન્ટેશનનું રિસ્ક વધી શકે છે એટલું જ નહીં, માર્કેટમાં વેચાઈ રહેલા નીલા પાઉડરની પ્યૉરિટી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ પ્રોડક્ટ સ્કિન બ્રાઇટનિંગ ઇફેક્ટ્સને કારણે વાઇરલ થઈ રહી છે. લોકો પોતાના ઓરિજિનલ ટોનની સ્કિન કરતાં વધુ ફેર સ્કિન મેળવવા પાછળ આંધળી દોટ મૂકે છે, જે યોગ્ય નથી. ઇન્ફ્લુઅન્સર્સમાં પણ આ પ્રોડક્ટના વપરાશને લઈને મતભેદ છે. કેટલાક લોકો કહે છે કે એ સ્કિનને ઇન્સ્ટન્ટ્લી બ્રાઇટ કરે છે અને ફાયદાકારક છે ત્યારે કેટલાક એને વાપરવાની એટલે ના પાડે છે કારણ કે એને લગાવવાથી ચહેરા પર રેડનેસ આવે છે અને બળતરા થાય છે. ટૂંકમાં કહીએ તો એના ફાયદાઓ વિશે પૂરતા પુરાવા ન હોવાથી નીલા પાઉડરને વાપરવાની સલાહ નિષ્ણાતો આપતા નથી. અને જો વાપરવાની ઇચ્છા હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નીલા પાઉડરને પોતાના સ્કિનકૅર રૂટીનનો હિસ્સો બનાવતાં પહેલાં ત્વચા પર પૅચ ટેસ્ટ કરવી જરૂરી છે જેથી આ પ્રોડક્ટ તમારી ત્વચા પર સૂટ થાય છે કે નહીં એની ખબર પડે. આ પ્રોડક્ટને યુઝ કરતાં પહેલાં એક વાર ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી. રૉ ઇન્ડિગો પાઉડર કરતાં ફૉર્મ્યુલેટેડ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખવો અને ત્વચા પર એ કઈ રીતે રીઍક્ટ કરે છે એનું ધ્યાન રાખવું જોઈએ.

