DGCAએ જણાવ્યું છે કે એક વાર નવા નિયમો લાગુ થયા પછી મુસાફરો પાસે બુકિંગ પછી ૪૮ કલાકનો ‘લુક-ઇન વિકલ્પ’ હશે
પ્રતીકાત્મક તસવીર
ફ્લાઇટની ટિકિટ કૅન્સલ કરવાના વર્તમાન નિયમો વિશે મુસાફરોમાં લાંબા સમયથી ફરિયાદો વધી રહી છે. રીફન્ડ મળવામાં ઘણી વાર અઠવાડિયાંઓનો સમય લાગે છે અને કૅન્સલેશન ચાર્જ એટલા બધા વધારે છે કે ટિકિટ કૅન્સલ કરવી ઘણી વાર નુકસાનકારક બની જાય છે. જોકે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)નો એક નવો પ્રસ્તાવ આ સમસ્યાને મોટા ભાગે દૂર કરશે. DGCAએ જણાવ્યું છે કે એક વાર નવા નિયમો લાગુ થયા પછી મુસાફરો પાસે બુકિંગ પછી ૪૮ કલાકનો ‘લુક-ઇન વિકલ્પ’ હશે. આ સમય દરમ્યાન મુસાફરો કોઈ પણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ કૅન્સલ કરી શકે છે અથવા એમાં ફેરફાર કરી શકે છે. જોકે જો કોઈ મુસાફર નવી ફ્લાઇટ પસંદ કરે છે તો તેની પાસેથી પ્રવર્તમાન ભાડું વસૂલ કરવામાં આવશે. બુકિંગની તારીખના પાંચ દિવસ (ડોમેસ્ટિક ફ્લાઇટ્સ) અથવા ૧૫ દિવસ (ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ)ની અંદર મુસાફરીની તારીખો ધરાવતી ફ્લાઇટ્સ પર આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.


