MahaRERAએ છ બિલ્ડર પાસેથી બાકી નીકળતા કસ્ટમરોના આટલા રૂપિયા જેમ બને એમ જલદી પાછા અપાવવા કલેક્ટરને લેટર લખ્યો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (MahaRERA)ના ચૅરમૅન મનોજ સૌનિકે સબર્બન કલેક્ટર રાજેન્દ્ર શ્રીરસાગરને લેટર લખીને છ બિલ્ડરો પાસેથી ૨૪૯ કરોડ રૂપિયા જેમ બને એમ જલદી વસૂલ કરવા કહ્યું છે. આ છ બિલ્ડરોએ ફ્લૅટ ખરીદનારાઓને જગ્યા ન આપી હોવાથી કસ્ટમરોએ MahaRERAને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના અનુસંધાનમાં MahaRERAએ ફ્લૅટ-બાયર્સને વ્યાજ અને પેનલ્ટી સાથે પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો હતો. જોકે એક પણ બિલ્ડરે ૨૦૦ જેટલા ફ્લૅટ-પર્ચેઝરને એક પણ પૈસો પાછો ન આપ્યો હોવાથી MahaRERAએ રિકવરી વૉરન્ટ ઇશ્યુ કરીને કલેક્ટરને આ પૈસા બિલ્ડર પાસેથી વસૂલ કરવા કહ્યું હતું. આમ છતાં એમાં પણ વિલંબ થતો હોવાથી MahaRERAના ચૅરમૅને લેટર લખીને સબર્બન કલેક્ટરને આ બાબતને ગંભીરતાથી લઈને પૈસા વસૂલ કરવા કહ્યું છે.
MahaRERAએ કુલ ૩૪૪ કરોડ રૂપિયાના વૉરન્ટ ઇશ્યુ કર્યાં છે. એમાંથી ૭૨ ટકા રકમ હજી વસૂલ કરવાની બાકી છે. સામાન્ય રીતે આ વૉરન્ટ કલેક્ટરની ઑફિસ તહેસીલદારને મોકલે છે અને તહેસીલદાર આ વૉરન્ટ તલાટીની ઑફિસમાં રિકવરી માટે મોકલી આપે છે. આ રીતે સમય કાઢવામાં આવતો હોવાથી એનો ફાયદો બિલ્ડરો લેતા હોવાનું મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર અસોસિએશનનું કહેવું છે.