આજથી વિધાનસભાનું મૉન્સૂન સેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બધા જ પક્ષોને ટી-પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું
મૉન્સૂન સેશનની પૂર્વસંધ્યાએ ટી-પાર્ટી કરી રહેલા શાસક પક્ષના નેતાઓ.
આજથી વિધાનસભાનું મૉન્સૂન સેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે સાંજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બધા જ પક્ષોને ટી-પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું. મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોએ એ ટી-પાર્ટીનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે સરકારને નિષ્ક્રિય અને અસંવેદનશીલ કહી ૧૩ મુદ્દા સમાવી લેતો ૬ પાનાંનો પત્ર જ રાજ્ય સરકારને મોકલાવ્યો હતો જેમાં નીટ પેપર લિક દુષ્કાળ, ખેડૂતોની છેતરતી કર્જમાફી, ખેડૂતોને કાંદાના ઓછા ભાવ, ખાડે ગયેલા કાયદો અને સુવ્યવસ્થા, ઈંધણની કિંમતોમાં ભડકો, અપાત્ર લાડકી બહિણ જેવા મુદ્દાનો સમાવેશ કર્યો હતો.
સામે પક્ષે ટી-પાર્ટી પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે લીધેલી પ્રેસ-કૉન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો દ્વારા લેવાયેલી પત્રકાર પરિષદમાં કોઈ નવો મુદ્દો માંડવામાં આવ્યો નથી. એમના પત્રમાં પણ એવું કાંઈ નવું નથી. લોકોને સ્પર્શતા મુદ્દાની તેમને જાણ જ નથી. જો તેઓ રાજકારણ કરશે તો અમારા તરફથી રાજકીય જવાબ મળશે. જો તેઓ સમાજકારણ કરશે તો સામે એવો જવાબ મળશે. આ સત્ર ત્રણ અઠવાડિયાં ચાલવાનું છે જેમાં અમે ચોક્કસ સામાન્ય લોકોના હિતનો વિચાર કરીશું.’
