SIRમાં મૃત જાહેર કરવામાં આવેલા પાંચ મતદારો સાથે દિલ્હીમાં ઇલેક્શન કમિશનની ઑફિસમાં ગયાં મમતા બૅનરજી
ગઈ કાલે દિલ્હીમાં વિરોધના પ્રતીકરૂપે કાળી શાલ પહેરીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા ગયાં હતાં મમતા બૅનરજી.
ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાળેલો પોપટ હોવાનો આરોપ લગાવીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે દિલ્હીમાં ચૂંટણીપંચની ઑફિસમાંથી બહાર નીકળીને આરોપ લગાવ્યો હતો કે ‘બેઠક દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે અમારું અપમાન કર્યું હતું. મારી લાંબી રાજકીય કારકિર્દીમાં ચૂંટણી-કમિશનરને મેં આટલો ઘમંડી અને આટલો જૂઠો ક્યારેય જોયો નથી. તમારી પાસે BJPની શક્તિ છે. અમારી પાસે લોકોની શક્તિ છે. એથી અમે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે અમારું અપમાન કર્યું. આ પ્રકારનું ચૂંટણીપંચ ખૂબ જ ઘમંડી છે.’
મમતા બૅનરજી તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટીના સંસદસભ્યો અને પશ્ચિમ બંગાળના ૧૨ મતદારો સાથે ચૂંટણીપંચની ઑફિસમાં પહોંચ્યાં હતાં. પ્રતિનિધિમંડળે વિરોધના ચિહ્ન તરીકે કાળી શાલ પહેરી હતી. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં મૃત જાહેર કરવામાં આવેલા પાંચ મતદારો પણ તેમની સાથે હતા જેમનાં નામ મતદારયાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
મમતા બૅનરજીએ આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને દાવો કર્યો કે ૫૮ લાખ મતદારોને પોતાનો બચાવ કરવાની તક આપ્યા વિના તેમને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે SIR કવાયત BJPશાસિત રાજ્યોમાં કેમ હાથ ધરવામાં આવી રહી નથી અને એ વિપક્ષશાસિત પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરલા સુધી કેમ મર્યાદિત છે.
મમતા બૅનરજીની સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી: હાલની મતદારયાદી મુજબ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજો
મમતા બૅનરજીએ રાજ્યમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. વકીલ કુણાલ મીમાણી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મમતા બૅનરજીએ કહ્યું છે કે ચાલુ SIRમાં લાખો મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેશે. રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં લાયક મતદારોના મોટા પાયે મતાધિકારથી વંચિત રહેવાના તાત્કાલિક અને બદલી ન શકાય એવા ભયની આશંકા વ્યક્ત કરતાં તેમણે ગયા વર્ષે તૈયાર કરાયેલી હાલની મતદારયાદીઓના આધારે મતદાન કરાવવાનો નિર્દેશ કર્યો છે.


