ચંપત રાયને ફરીથી રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ બનાવવાની ચર્ચા શરૂ, સંતોએ કર્યો ભારે વિરોધ પોલીસે સંતોની બેઠક અટકાવી અને આશ્રમમાંથી કાઢીને તાળું મારી દીધું
ગઈ કાલે અયોધ્યાના કારસેવકપુરમના ઓમ આશ્રમમાં સંતોની બેઠક રોકવામાં આવી એટલે સંતોએ ચંપતરાય વિરુદ્ધ દાનચોરના નારા લગાવ્યા હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રભારી મહિપાલ સિંએ ચંપતરાયને ફરીથી ટ્રસ્ટના મહાસચિવ બનાવવાની ચર્ચાનો વિરોધ કર્યો હતો. રવિવારે તેમણે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ અને કારોબારી સભ્યોને ઈ-મેઇલ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
અયોધ્યાના કારસેવકપુરમ નજીક ઓમ આશ્રમમાં રામ મંદિરમાં થયેલી દાનચોરી અને ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયના વિરોધમાં સંતોની સભા થઈ હતી. પોલીસે એ બેઠક અટકાવી દીધી હતી. સંતોનો આરોપ છે કે પોલીસ સભાની વચ્ચે પહોંચી હતી અને સંતોને બહાર કાઢી મૂક્યા અને આશ્રમને તાળાં મારી દીધાં હતાં. ગુસ્સે ભરાયેલા સંતોએ દાનચોરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે પોલીસનું કહેવું છે કે તેમને રોકવામાં આવે એ પહેલાં સંતો પોતે જ આશ્રમ છોડીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
આ સભાનું આયોજન પ્રકાશાનંદ ગિરિ ઉર્ફે કમ્પ્યુટર બાબાએ કર્યું હતું જેમાં જાનકી ઘાટ બડા સ્થાનના મહંત જન્મેજય શરણ, મહામંડલેશ્વર પરમાનંદ ગિરિ, મહંત દિલીપ દાસ સહિત ૮થી ૧૦ સંતો પધાર્યા હતા. સંતોનું કહેવું છે કે જ્યારે તેમણે પોલીસને સભા રોકવાનું કારણ પૂછ્યું તો પોલીસે કોઈ કારણ જણાવ્યું નહોતું. કેટલાક સંતોને સભામાં આવવાની પણ પરવાનગી આપવામાં આવી નહોતી. તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. કમ્પ્યુટર બાબાએ કહ્યું હતું કે સંત સમાજ દાનચોરીની નિષ્પક્ષ તપાસ અને ગુનેગારો સામે કાર્યવાહીની માગણી સાથે એક મોટું આંદોલન શરૂ કરશે. જરૂર પડશે તો એક લાખ સંતો સાથે અયોધ્યા પહોંચીને આંદોલન કરશે. સંત રામલલાનાં દર્શન કરીને ભગવાન શ્રી રામ પાસે ક્ષમા માગશે.
