તિરુવનંતપુરમમાં ૪માંથી ૩ મૅચ જીતી છે ભારતીય ટીમ, T20 વર્લ્ડ કપ માટે સૂર્યા ઍન્ડ કંપની આજે છેલ્લી વખત ડ્રેસ-રિહર્સલ કરવા ઊતરશે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર અને રચિન રવીન્દ્ર.
તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે T20 સિરીઝની પાંચમી અને અંતિમ મૅચ રમાશે. ભારતીય ટીમે ૩-૧થી સિરીઝ પર પહેલાંથી કબજો કરી લીધો છે. સૂર્યા ઍન્ડ કંપની T20 વર્લ્ડ કપ 2026 પહેલાં આ મોટી ટુર્નામેન્ટ માટે અંતિમ વખત ડ્રેસ-રિહર્સલ કરવા ઊતરશે. વર્લ્ડ કપ પહેલાં સિનિયર ટીમ એક વૉર્મ-અપ મૅચ રમીને પોતાની તૈયારી પૂર્ણ કરશે.
તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં નવેમ્બર ૨૦૨૩ બાદ પહેલી વખત મેન્સ ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. ૨૦૧૭માં આ સ્ટેડિયમની પહેલી મેન્સ ઇન્ટરનૅશનલ મૅચ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ હતી. ભારત અહીં ૪માંથી માત્ર એક મૅચ હાર્યું છે એ પણ ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે. આ સ્ટેડિયમમાં રમાયેલી બે વન-ડે મૅચમાં પણ ભારતની જીત થઈ હતી. સંજુ સૅમસનનું આ હોમ ગ્રાઉન્ડ ગ્રીનફીલ્ડ સ્ટેડિયમ એક ઉચ્ચ સ્કોરિંગ વેન્યુ છે જેમાં પિચ સપાટ છે.


