Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચકલીઓ ગઈ, હવે કબૂતરો વિનાનું મુંબઈ?

ચકલીઓ ગઈ, હવે કબૂતરો વિનાનું મુંબઈ?

Published : 19 August, 2025 05:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈનાં નળિયાંવાળાં મકાનોના ઢળતા છાપરાની ટોચે હારબંધ બેસી પલળતાં કબૂતરોને જોવાની મઝા કંઈ ઑર જ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


કબૂતર જા! જા! જા! ન તો તારા તરફ હવે કોઈને ‘પહેલો પ્યાર’ રહ્યો છે કે નથી કોઈ ‘પહેલી ચિઠ્ઠી’ સાજનને પહોંચાડવાની. બધાનાં ફેફસાં અચાનક નબળાં પડી ગયાં છે. ગામડાંઓમાં તો કૂવાની બાજુમાં જ ચબૂતરા બાંધવાની પ્રથા હતી તોય કોઈ માંદું ન`તું પડતું. એનાં ગોખલાય સુંદર કોતરણીવાળાં બનાવવામાં આવતાં. એક મિનારાની ઊંચાઈ જેટલા ચબૂતરા રાજાઓએ બનાવ્યાના દાખલા છે. મોગલોની કબૂતરોની રમતો આજેય દિલ્હી-આગરામાં રમાય છે. ફળિયામાંનો ચબૂતરો ગામનું ગમતું સરનામું બની રહેતું. મંદિરે દર્શન કરી ચોકમાં ચણ અને ગૌશાળામાં ઘાસનો નિયમ પાળનારા આજેય છે. બારણાંની બારસાખે બેઠેલાં કબૂતરોનું ગુટૂર ગૂ ન ગમે તો પણ શાળામાં એને ‘ભોળું પારેવું’ કહેલું તેથી અભાવ ન`તો થતો. વળી બહાર જતાં જો ચરક પડે તો એને શુકન ગણવાની પ્રથાએ એના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. આયુર્વેદમાં દવા બનાવવામાં અને ખેતરમાં ખાતર તરીકે ચરકનું મહત્ત્વ ગણાયું છે એટલે જ પક્ષીઓને ચણ નીરવાનો ક્રમ રોજિંદી ઘટમાળમાં વણાયો અને શહેરોમાં કબૂતરખાનાં અસ્તિત્વમાં આવ્યાં.


મુંબઈમાં દાદર, ભુલેશ્વર અને ફોર્ટમાં GPO પાસેનાં કબૂતરખાનાં જાણીતાં છે. એ ઉપરાંત ગલીઓને કે ચોકને નાકે જોવા મળતાં નાનાં-મોટાં કબૂતરખાનાંઓ જનતાની જીવદયાનાં દ્યોતક છે.



મુંબઈનાં નળિયાંવાળાં મકાનોના ઢળતા છાપરાની ટોચે હારબંધ બેસી પલળતાં કબૂતરોને જોવાની મઝા કંઈ ઑર જ છે. સુરેશ જોશી સવારની શાળાનાં બાળકો માટે ‘હારબંધ કબૂતર ગોખે’ એમ કહેતા તો સુરેશ દલાલ કહેતા ‘કિરણ ઝૂક્યું થઈ કપોત.’ આ ‘કપોત’ સંસ્કૃત શબ્દ છે. બીજો છે ‘પારવતઃ’, જેના પરથી ‘પારેવું’ શબ્દ આવ્યો. કબૂતર એ મૂળ તો ફારસી શબ્દ છે, એ ભાષાવિદોને જાણવું ગમશે.


‘કૌન બનેગા કરોડપતિ’માં પ્રશ્ન પુછાયેલો : એ કયું મંદિર છે જ્યાં ભગવાન શિવ પાસેથી સૃષ્ટિનું રહસ્ય સાંભળ્યા પછી ત્યાં રહેનારી કબૂતરોની જોડી અમર થઈ ગઈ? સવાલમાં જ જવાબ સમાયેલો હતો. હૉટસીટ પર બેઠેલી ચબરાક પ્રતિયોગિતાએ થોડું વિચારી જવાબ આપ્યો :અમરનાથ. તો મિત્રો, કબૂતર તમને પચાસ લાખનું ઇનામ પણ અપાવી શકે છે. ઘણા એને લક્ષ્મીનું ભક્ત માને છે. એટલે કબૂતરખાનાં હશે તો લક્ષ્મીદેવી પ્રસન્ન રહેશે, સમજી જાઓ સાનમાં.

અને આ નારાજ પૌરાણિક સંદેશવાહકોના શ્રાપથી જ તો અદ્યતન રજિસ્ટર્ડ પોસ્ટલ સર્વિસ બંધ નહીં થઈ રહી હોયને? ‘કબૂતરબાજી’ કરનારા બોલો : ના રે ના રે ના રે.


-યોગેશ શાહ

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 05:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK