Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો

Published : 27 March, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભગવાનની કથા સાંભળશો તો તમારે અન્ય કોઈ તીર્થની યાત્રા કરવાની આવશ્યકતા નથી. પછીથી ભલે જાઓ, પણ કથા જ્યારે ચાલી રહી હોય અને તમે કહો કે ‘મેં ત્રણ દિવસ કથા સાંભળી, હવે અમે હરિદ્વાર જઈશું.’ 

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો

સત્સંગ

થાકનો અનુભવ ત્યારે થાય જ્યારે તમે કાર્ય બે-મનથી કરો


મનુષ્યના મનને શુદ્ધ કરવામાં ભગવદ્કથા જેવું શ્રેષ્ઠ સાધન સંસારમાં બીજું કોઈ નથી. મન પવિત્ર રાખો. તમે સ્નાન કરો છો એનાથી તન પવિત્ર રહે અને ભગવાનની કથા સાંભળો એનાથી મન પવિત્ર રહે. તનને સ્વચ્છ રાખશો તો તન નીરોગી રહેશે. મનને પવિત્ર રાખશો તો મન નીરોગી રહેશે. તનને સ્વાસ્થ્ય અને મનને શાંતિની જરૂર છે.

કલિયુગમાં માણસનું મન બહુ બગડ્યું છે. મનમાં મલિનતા પેઠી છે. ગંદકીને પ્રેમ કરશો નહીં. કચરો જ્યાં-ત્યાં ફેંકવાની અને ગંદકીની વચ્ચે રહેવાની જેને આદત પડી જાય તે મનની પણ ગંદકીને ચલાવી લે છે. આ કથાસ્થાન છે એ તીર્થ છે. જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં બધાં જ તીર્થો યાત્રા કરવા આવે છે. આપણે તીર્થની યાત્રા કરવા જઈએ પણ બધાં જ તીર્થો યાત્રા કરવા આવે છે. કથાસ્થાન. પુષ્કર પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર બધાં જ તીર્થો જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ત્યાં સૂક્ષ્મ રૂપથી પધારે છે. ‘તત્રેવ સર્વતીર્થાનિ’. 



ભગવાનની કથા સાંભળશો તો તમારે અન્ય કોઈ તીર્થની યાત્રા કરવાની આવશ્યકતા નથી. પછીથી ભલે જાઓ, પણ કથા જ્યારે ચાલી રહી હોય અને તમે કહો કે ‘મેં ત્રણ દિવસ કથા સાંભળી, હવે અમે હરિદ્વાર જઈશું.’ 


અરે! હરિદ્વાર ખુદ અહીં આવ્યું છે, ઋષિકેશ ખુદ અહીં આવ્યું છે. જ્યારે કથા વિરામ લે ત્યારે જાઓ હરિદ્વાર. કથામાં જ બધાં તીર્થો છે. શ્રીમદ્ ભાગવત સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. જે તમને બધાં પાપમાંથી મુક્ત કરે, જે તમને તારે એ તીર્થ છે. એ દૃષ્ટિએ શ્રીમદ્ ભાગવત સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. વાસ્તવમાં તીર્થોને પણ તીર્થત્વ પ્રદાન કરનારું ભાગવત છે. તીર્થોમાં ગંદકી કરવી એ પાપ છે. તીર્થમાં જઈને પાપ કરવાથી એ પાપ પણ વજ્રલેપ બની જાય છે. એનો નાશ ક્યારેય નથી થતો. તીર્થમાં જઈને પુણ્ય કરશો તો એ પણ વજ્રલેપ બની જશે. એનો ક્યારેય નાશ નહીં થાય. એટલા માટે તીર્થમાં જઈને પુણ્ય કરો, પાપ નહીં.

અન્ય ક્ષેત્રે કૃતં પાપં, તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ
તીર્થ ક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ


અર્થાત્ અન્યત્ર કરેલાં પાપ તીર્થક્ષેત્રમાં જઈને સ્નાન કરવાથી, દાન કરવાથી, દર્શન કરવાથી નષ્ટ થઈ જાય છે પરંતુ કોઈ તીર્થમાં જઈને પાપ કરવામાં આવે તો એ વજ્રલેપ બની જાય છે એટલે કે એ પાપનો પછી નાશ શક્ય બનતો નથી.

આપણાં દેવમંદિરો, આશ્રમો જ્યાં કથા ચાલતી હોય, એ તીર્થ છે. એટલા માટે આશ્રમોમાં જઈએ છીએ. સંતો પાસે જઈએ છીએ. કથામાં જઈએ છીએ કે આપણાં પાપ બળે. ઘણી વાર તો કથામાં આવતાં આપણને આપણાં પાપ રોકે, પાપને ખબર છે કે આ કથામાં જશે તો અમારો નાશ પાકો છે. કોઈને મરવું ગમે? તો પાપને પણ કેમ મરવું ગમે? એટલા માટે પાપ પણ આપણને કથામાં આવતાં રોકે છે કે ‘ભલા માણસ, છેલ્લાં પંચાવન વર્ષનો આપણો સંબંધ. આપણે ભેગા રહ્યા અને હવે કથામાં જઈને અમને મરાવી નાખીશ?

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK