"નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી... હાથી, ઘોડા, પાલખી"... જેવા ભજન સાથે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા શતાબ્દીઓથી ચાલી આવે છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં બાલગોપાલની મૂર્તિઓને સૌંદર્યથી શણગારી, આરતી અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તિની મીઠાશ પ્રસાદ સ્વરૂપે વહેંચાય છે, જેનો સ્વાદ કોઈ તીર્થસ્થળના વિશિષ્ટ પ્રસાદ જેમ અદ્વિતીય હોય છે. જેમ અંબાજીનો મોહનથાળ, સોમનાથના ચીકી-લાડવા, મહુડીની સુખડી અથવા નડિયાદના સંતરામ મંદિરે પ્રસિદ્ધ દર પોષી પૂનમે બોરનો પ્રસાદ હોય છે. જેમ દરેક પ્રસાદનું એક ધાર્મિક અને પરંપરાગત મહત્વ છે, તેમ નાગ પાંચમના ખાજા, છઠની બાજરી ચોખાની કુલેર, શીતળા સાતમે ઠંડુ ભોજન અને જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ ધરાવવાની પરંપરા પણ એટલી જ પાવન છે. ગુજરાતી ઘરોમાં ખીર, સુખડી, શીરો જેવી વાનગીઓ તહેવારો કે ખાસ પ્રસંગે પ્રસાદ રૂપે વારંવાર બનતી જ હોય છે. ભલે તે સરળ અને સામાન્ય સામગ્રીથી બને, તેમ છતાં એનો સ્વાદ કુદરતી રીતે એટલો મીઠો અને મનમોહક હોય છે કે વર્ણન કરવું મુશ્કેલ બને. એમ જ દરેક તહેવારમાં બનતા પ્રસાદનું પોતાનું આગવું મહત્વ અને નિરાળું સ્થાન હોય છે. કાન્હાજીના મધરાત્રીના જન્મસમયે ઉપવાસ પારણા માટે ભક્તો પંજરી ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરે છે, સાથે માખણ અને સાકર અર્પણ કરીને કાન્હાજી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. નવમીના દિવસે તો શ્રીકૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરીને ભક્તિની પરાકાષ્ઠા ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
16 August, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent