રોકડની તંગી વચ્ચે પાકિસ્તાને બહાવલપુરમાં ઑપરેશન સિંદૂરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયના પુનઃ નિર્માણ માટે અંદાજે ૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો દાવો થયો છે. સંકુલમાં સેન્ટ્રલ હૉલ સહિત મોટા પાયે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
આર્થિક ભીંસ છતાં પાકિસ્તાને ઑપરેશન સિંદૂરમાં નાશ પામેલો આતંકવાદી અડ્ડો પચીસ કરોડના ખર્ચે ફરી ઊભો કર્યો
રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને બહાવલપુરમાં ઑપરેશન સિંદૂરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરી બનાવવા માટે પચીસ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની જાણકારી મળી છે. ઑપરેશન સિંદૂરમાં નિશાન બનાવ્યાના લગભગ ૧૫ મહિનામાં એનું મોટા પ્રમાણમાં પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ હૉલ અને મરકઝ સુભાનઅલ્લાહના પુનઃ નિર્માણ માટે લગભગ ૧૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું.
સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાન સરકારે એની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ની કથિત સંડોવણી સાથે જૈશ-એ-મોહમ્મદ સંકુલના પુનઃ નિર્માણમાં મદદ કરવા માટે લગભગ પચીસ કરોડ રૂપિયા આપ્યા હતા.
સેન્ટ્રલ હૉલનું વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટર અને પેઇન્ટ કરેલી દીવાલો, નવું માર્બલ ફ્લોરિંગ અને પરિસરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હોવાનું દેખાય છે. સંકુલ ફરી એક વાર નિયમિત ઉપયોગ માટે તૈયાર થઈ રહ્યું છે. ૨૦૨૬ની શરૂઆતમાં પુન: નિર્માણની પ્રવૃત્તિ દૃશ્યમાન થઈ હતી જેમાં ભારે મશીનરી, ઈંટો, સ્ટીલ અને બાંધકામની સામગ્રી સ્થળ પર લાવવામાં આવી હતી. 2026ના મધ્યથી અંત સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત સંકુલનો દેખાવ પાછો મેળવવામાં આવ્યો હતો.
N-5 હાઇવેની પાછળ આવેલી બહાવલપુર સુવિધાને ઐતિહાસિક રીતે જૈશ-એ-મોહમ્મદ માટે અનેક કાર્યો કરતી હોવાનું વર્ણવવામાં આવ્યું છે જેમાં મદરેસા, ભરતી કેન્દ્ર અને આયોજન સુવિધાનો સમાવેશ થાય છે.
