ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું કે ટૂંક સમયમાં જ BMCને આ સંદર્ભની સૂચના અપાશે
દાદરના કબૂતરખાનામાં ચણ નાખતી એક વ્યક્તિ અને ચણતાં કબૂતરો. તસવીરો : અતુલ કાંબળે
કબૂતરખાનાની આસપાસ રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી, ખાસ કરીને શ્વસનને લગતી સમસ્યાઓ સર્જાતી હોવાથી મુંબઈનાં બધાં જ કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ વિશે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને જણાવશે એમ ગઈ કાલે રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. મરીન ડ્રાઇવ, દાદર, અંધેરી અને બોરીવલી એ કબૂતરોને ચણ નાખવાના હૉટ સ્પૉટ હોવાનું જણાઈ આવ્યું છે.
શિવસેનાનાં વિધાનસભ્ય મનીષા કાયંદેએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ૫૧ કબૂતરખાનાં છે. અમે BMCને કહીશું કે એ બધાં જ બંધ કરવામાં આવે.’
ADVERTISEMENT
મનીષા કાયંદેએ કહ્યું હતું કે દાદરમાં ટ્રાફિક આઇલૅન્ડમાં કબૂતરખાનું બનાવી દેવાયું છે. એ હટાવી એની જગ્યાએ ફૂલઝાડ રોપવા જોઈએ અથવા એ જગ્યાએ મિયાવાકી જેવો બગીચો પણ ઊભો કરી શકાય. કબૂતરની ચરક અને એમનાં પીછાંને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ બાબતે થયેલા અભ્યાસને પણ તેમણે રજૂ કર્યો હતો.
મનીષા કાયંદેની રજૂઆતને સમર્થન આપતાં ભારતીય જનતા પાર્ટીનાં ચિત્રા વાઘે કહ્યું હતું કે ‘મેં મારા અંધેરીના એક સંબંધીને આ કબૂતરની ચરકને કારણે ગુમાવ્યા છે. આનો અંત લાવવા મક્કમ પગલાં લેવાં જરૂરી છે.’
ઉદય સામંતે તેમની આ રજૂઆત સંદર્ભે કહ્યું હતું કે ‘અમે આ લોકોને પડતી સમસ્યાઓ સમજીએ છીએ અને એથી એક મહિનો લોકોમાં આ બદલ જનજાગૃતિ આવે એ માટે અભિયાન ચલાવીશું. જે લોકો કબૂતરખાના પાસે રહે છે તેમને એનાથી તકલીફ થાય છે એ અમે કબૂતરને ચણ નાખનારાઓને સમજાવીશું.’

