Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CNGની સપ્લાય કેમ અટકી પડી એનું ખરું કારણ આ રહ્યું

CNGની સપ્લાય કેમ અટકી પડી એનું ખરું કારણ આ રહ્યું

Published : 20 November, 2025 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RCF કમ્પાઉન્ડમાં પાણીની ક્વૉલિટી ચેક કરતી વખતે ભૂલમાં CNGની પાઇપલાઇનમાં ડ્રિલિંગ થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરાઓને રવિવાર બપોરથી કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ની પાઇપલાઇમાં ડૅમેજ થવાથી સપ્લાય ઘટી જતાં ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી જે મંગળવાર રાત સુધી ચાલુ રહી હતી. મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા ૭૦૦ એન્જિનિયરની ટીમ બનાવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને આખરે મંગળવારે સાંજે એ કામ પૂરું થયા બાદ ધીમે-ધીમે પ્રેશર વધારીને ગૅસની સપ્લાય પૂર્વવત્ કરવામાં આવી હતી. મુંબઈગરાઓએ આ મુશ્કેલી શા માટે વેઠવી પડી એનું ચોંકાવનારું કારણ એ જાણવા મળ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)ના કમ્પાઉન્ડમાં અન્ડરગ્રાઉન્ડ વૉટરનું રૂટીન ચેક કરવા ડ્રિલ મશીનથી ડ્રિલિંગ કરતી વખતે ભૂલથી ગૅસની પાઇપલાઇન ડૅમેજ થઈ ગઈ હતી એટલે ગૅસની સપ્લાય રોકી દેવી પડી હતી. 
આ બાબતે જાણવા મળ્યા મુજબ RCF દ્વારા સમયાંતરે અન્ડરગ્રાઉન્ડ વૉટરની ક્વૉલિટી ચેક કરવામાં આવતી હોય છે. એ ચેક કરવા જમીનમાં ડ્રિલ કરીને પાણીનું સૅમ્પલ લેવામાં આવતું હોય છે. કમ્પાઉન્ડમાંથી ગૅસની પાઇપલાઇન પાસ થાય છે એની જાણ હોવા છતાં રવિવારે એ રૂટીન ચેકિંગ દરમ્યાન જમીનની દસ ફુટ નીચે નાખવામાં આવેલી ગૅસની પાઇપલાઇનમાં ડ્રિલિંગ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી. વળી એ ડ્રિલિંગ એટલે ઊંડે સુધી કરવામાં આવ્યું હતું કે ગૅસની પાઇપલાઇનમાં બહુ મોટું ડૅમેજ થઈ ગયું હતું. 

સમારકામ બહુ જ ચોકસાઈ અને સેફ્ટી જાળવીને કરવાનું હતું



ગૅસની પાઇપલાઇનમાં મોટું ડૅમેજ થયું હોવાને કારણે એનું સમારકામ કરવું એ પણ ચૅલેન્જ હતી. ગૅસની પાઇપલાઇનને થયેલું નુકસાન એટલું મોટું હતું કે એનો તૂટેલો પોર્શન પૅચ (થીગડું) મારીને પૅક કરી શકાય એમ નહોતો. પાઇપલાઇનનો એટલો હિસ્સો જ બદલવો પડે એમ હતો. એથી એટલી નવી પાઇપ જ ત્યાં બેસાડવાની હતી. એ પોર્શનની બન્ને બાજુના પાઇપમાં ઓછા પ્રેશર સાથેનો ગૅસ મોજૂદ હોય ત્યારે એમાં વેલ્ડિંગ કરવું બહુ જોખમી હતું અને ચોકસાઈ સાથે સેફ્ટી જાળવીને કામ કરવું પડે એમ હતું. એથી ૭૦૦ જેટલા એન્જિનિયરોને કામ પર લગાડીને પૂરતી ચોકસાઈ અને સેફ્ટી સાથે એ કામ પાર પાડવામાં આવ્યું હતું. આમ મુંબઈગરા પોતાને પડેલી તકલીફને લીધે ક્રોધિત થઈ રહ્યા હતા ત્યારે એન્જિનયરોએ સતત કામ કરીને એ ભગીરથ કાર્ય પૂરું કર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK