શિવસેનાના પ્રતાપ સરનાઈકે આવું કહીને વિવાદ નોતર્યો
પ્રતાપ સરનાઈક
મહારાષ્ટ્રમાં કેટલાક દિવસ પહેલાં મરાઠી ભાષાને મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. હવે શિવસેનાના થાણેના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન પ્રતાપ સરનાઈકે ગઈ કાલે હિન્દી ભાષા વિશે નિવેદન કરવાથી ફરી વાતાવરણ ગરમ થઈ ગયું છે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘હિન્દી હવે મુંબઈની બોલચાલની ભાષા બની ગઈ છે. અમે મરાઠીને માતૃભાષા કહીએ છીએ, પણ અમારા મોઢામાંથી ક્યારેક હિન્દી આવી જાય છે, ક્યારેક અંગ્રેજી પણ આવી જાય છે. આથી હિન્દી હવે બોલચાલની ભાષા બની ગઈ છે. થાણે અને મીરા-ભાઈંદર મારો મતદારસંઘ છે. જનતા સાથે શુદ્ધ મરાઠીમાં વાત કરું છું. જોકે જ્યારે મીરા-ભાઈંદરમાં જાઉં છું ત્યારે આપોઆપ મોઢામાંથી હિન્દી નીકળી જાય છે. આજકાલ આપણે મરાઠી અમારી માતૃભાષા છે, અમારી માતા છે એવું કહીએ છીએ; પણ હિન્દી આપણી લાડકી બહિણ છે, કારણ કે લાડકી બહિણને કારણે જ અમે વિધાનસભાની ચૂંટણીમાં ૨૩૭ બેઠક જીતી શક્યા.’
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અને કૅબિનેટ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પ્રતાપ સરનાઈકના હિન્દી ભાષાના વિધાન વિશે કહ્યું હતું કે પ્રતાપ સરનાઈક મરાઠીમાં જ વાત કરે છે, તેમણે હિન્દી ભાષાની વાત હિન્દી પ્રેક્ષકોની સામે કરી હશે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે અને તેમના પક્ષના નેતા મરાઠી ભાષાને મુદ્દે કાયમ આક્રમકતા દાખવે છે. MNSના નેતા યશવંત કિલ્લેદારે પ્રતાપ સરનાઈકના નિવેદન વિશે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના કરી હતી ત્યારે ચાર ટકા લોકો મરાઠી ભાષામાં વાતચીત કરતા હતા. છત્રપતિએ આ ટકાવારી ૭૦ ટકાએ પહોંચાડી. સંયુક્ત મહારાષ્ટ્રની લડત થઈ ત્યારે ભાષા પ્રમાણે પ્રાંતની રચના થઈ. મુંબઈ મરાઠી માણસોની છે એ મુદ્દા પર જ મહારાષ્ટ્રને સફળતા મળી. મારા રાજાની, રાજ્યની, મુંબઈની તેમ જ મારા પિતા અને દાદાની ભાષા મરાઠી છે. મુંબઈ મરાઠી માણસોની છે એ પ્રતાપ સરનાઈકને કદાચ જાણ નહીં હોય. તેમની વાત અમને માન્ય નથી અને MNS તરીકે મહારાષ્ટ્ર અને મરાઠી માણસ માટે અમે લડતા રહીશું.’

