Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા હોમ ક્વૉરન્ટીન લોકો પર સોસાયટીના હોદ્દેદારોએ પણ રાખવી પડશે નજર

હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા હોમ ક્વૉરન્ટીન લોકો પર સોસાયટીના હોદ્દેદારોએ પણ રાખવી પડશે નજર

05 December, 2021 02:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોખમી દેશોમાંથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત હોમ-ક્વૉરન્ટીન થવું પડશે

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સ્વૅબ-ટેસ્ટ કરાવી રહેલી વ્યક્તિ (તસવીર : અનુરાગ કાંબળે)

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સ્વૅબ-ટેસ્ટ કરાવી રહેલી વ્યક્તિ (તસવીર : અનુરાગ કાંબળે)


બીએમસીએ હોમ-ક્વૉરન્ટીનનાં ધોરણો વધુ સખત બનાવ્યાં છે. એ મુજબ વૉર્ડદીઠ વૉર રૂમ હોમ-ક્વૉરન્ટીન થયેલા તમામ મુસાફરોને દિવસમાં પાંચ વાર ફોન કરશે, મેડિકલ ઍમ્બ્યુલન્સ દ્વારા તેમની દેખરેખ રાખશે અને હોમ-ક્વૉરન્ટીનના સાતમા દિવસે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરશે. જોખમી દેશોમાંથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત હોમ-ક્વૉરન્ટીન થવું પડશે. એટલું જ નહીં, એ સોસાયટીના પદાધિકારીઓને પણ ફોન કરીને સુધરાઈ દ્વારા કહેવામાં આવશે કે હોમ ક્વૉરન્ટીન વ્યક્તિ બહાર ન નીકળે એનું ધ્યાન રાખજો.
જોખમી દેશોમાંથી મુંબઈ આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની દેખરેખ અને તેમના પર નજર રાખવા કૉર્પોરેશને બેજોડ અને સખત હોમ-ક્વૉરન્ટીન મૉનિટરિંગ મેકૅનિઝમ હેઠળ નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જાહેર કરી છે. તમામ પૅસેન્જરો માટે આ એસઓપી સંસ્થાકીય ક્વૉરન્ટીન જેવી જ અસરકારક રહેશે. નવી એસઓપીનો મૂળ હેતુ ઓમાયક્રોન વેરિઅન્ટના સંભવિત પ્રસારને રોકવાનો છે એમ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું. 
નવા એસઓપી મુજબ મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ લિમિટેડ રોજ સવારે ૯ વાગ્યે બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ યુનિટને આંતરરાષ્ટ્રીય મુસાફરોની યાદી મોકલાવશે અને તમામ ૨૪ વૉર્ડની વૉર રૂમને સવારે ૧૦ વાગ્યા સુધી તેમના વિસ્તારના મુસાફરોની અલગ યાદી મળશે. આ વોર્ડ વૉર રૂમ તેમના વિસ્તારના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફોન કરીને તેઓ ક્વૉરન્ટીન પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે કે નહીં એની તકેદારી રાખશે. આ ઉપરાંત વોર્ડ વૉર રૂમ હોમ-ક્વૉરન્ટીન રહેનાર મુસાફરોની હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓને પણ ફોન કરીને આ પૅસેન્જર્સ હોમ-ક્વૉરન્ટીન રહે છે કે નહીં તથા તેમના ઘરે મુલાકાતીઓને જવાની પરવાનગી આપવામાં આવી ન હોવાથી તેઓ આવે છે કે નહીં એની માહિતી મેળવશે. હોમ-ક્વૉરન્ટીન પ્રોટોકોલનું પાલન ન કરનાર પૅસેન્જર વિશેની માહિતી સોસાયટીઓએ મેડિકલ ઑફિસરને જણાવવાની રહેશે. 
હોમ-ક્વૉરન્ટીનના પ્રોટોકોલનું પાલન ન કરનાર પૅસેન્જર પર એપિડેમિક ઍક્ટ, ૧૮૯૭ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ ૨૦૦૫ હેઠળ કાયદેસર પગલાં લેવામાં આવશે. આ પૅસેન્જરોને ફરજિયાત સંસ્થાકીય ક્વૉરન્ટીનમાં ખસેડવામાં આવશે. 
પૅસેન્જર પ્રોટોકોલનું પાલન કરે છે કે નહીં એનું ધ્યાન રાખવા બીએમસી મેડિકલ ટીમ સાથે ઍમ્બ્યુલન્સ તહેનાત કરવા વિશે વિચારી રહ્યું છે. સાતમા દિવસે પૅસેન્જરની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને રોગનાં લક્ષણ જણાશે તો ટેલિફોન પર તેમનું કાઉન્સેલિંગ કરીને સારવાર વિશે સમજ આપવામાં આવશે તેમ જ આવશ્યક હશે તો હૉસ્પિટલમાં દાખલ થવા જણાવશે. 
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ યુનિટ રોજ પાલિકા કમિશનરને એનો રિપોર્ટ સબમિટ કરશે. 
રાજ્ય સરકારે બીજી ડિસેમ્બરે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સાઉથ આફ્રિકા, બોટ્સવાના અને ઝિમ્બાબ્વેના પૅસેન્જરોએ સાત દિવસના સંસ્થાકીય ક્વૉરન્ટીન તેમ જ સાત દિવસ હોમ-ક્વૉરન્ટીન રહેવું પડશે, જ્યારે અન્ય જોખમી દેશોમાંથી આવતા પૅસેન્જરોએ સાત દિવસ હોમ-ક્વૉરન્ટીન રહેવું પડશે. અન્ય જોખમી દેશોમાં યુકે, બ્રાઝિલ, ચીન, મૉરિશિયસ, ન્યુ ઝીલૅન્ડ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ અને ઇઝરાયલનો સમાવેશ છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK