આજે બપોરે ૧૨ વાગ્યે રામલલાને થશે સૂર્યતિલક: ૧૨૫૧ હવનકુંડોનો મહાયજ્ઞ ૨૮ માર્ચ સુધી ચાલશે
સૂર્યમંદિર પર વિધિવિધાન સાથે ધ્વજારોહણ થયું હતું.
ગઈ કાલે ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં આવેલા સૂર્યમંદિર પર વિધિવિધાનપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભગવા રંગના આ ધ્વજ પર ૐ અંકિત થયેલું છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબી બાજુએ નૈર્ઋત્ય ખૂણે આવેલા સૂર્યમંદિર પર ૧૧ ફુટ ૭ ઇંચના ધ્વજદંડ પર ૯ ફુટ ૩ ઇંચ લાંબી અને ૪ ફુટ ૭ ઇંચ પહોળી ધ્વજા ચડાવવામાં આવી હતી.
ગઈ કાલથી રામનગરી અયોધ્યામાં રામનવમીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણીની ધૂમધામ જોવા મળી હતી. રાજઘાટ યજ્ઞ પરિસરમાં આયોજિત મહાયજ્ઞમાં ૧૨૫૧ હવનકુંડ સ્થાપિત કરીને દરેક કુંડ પર ૪ યજમાનો દ્વારા આહુતિ અપાઈ હતી. વૈદિક મંત્રોની ગુંજથી વાતાવરણ આધ્યાત્મિકતાથી તરબતર થઈ ગયું હતું. આ મહાયજ્ઞ ૨૮ માર્ચ સુધી ચાલશે. આજે શ્રીરામના બાળસ્વરૂપ રામલલાના જન્મોત્સવને આ વખતે ઐતિહાસિક અને ભવ્ય સ્વરૂપમાં મનાવવામાં આવશે.
ADVERTISEMENT
આજે સૂર્યતિલક સૌથી મોટું આકર્ષણ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર સવારે ૯.૩૦થી ૧૦.૩૦ વાગ્યે અભિષેક થશે. ૧૦.૩૦થી ૧૦.૪૦ વાગ્યા દરમ્યાન ગર્ભગૃહના પટ બંધ થશે. એ પછી ૧૦.૪૦થી ૧૧.૪૫ વાગ્યા દરમ્યાન દિવ્ય શ્રૃંગાર થશે. ૧૧.૪૫ વાગ્યે ભોજ લગાવ્યા પછી પટ બંધ થશે. ૧૨ વાગ્યે જન્મોત્સવની આરતી સાથે પટ ખૂલશે અને પ્રાગટ્યક્ષણ પર લગભગ ૪ મિનિટ સુધી સૂર્યનાં કિરણો રામલલાના લલાટ પર પડશે.
