વિશ્વમાં વસ્તીવધારાના ૨૦૧૦થી ૨૦૨૦ સુધીના ચોંકાવનારા આંકડા જાહેર થયા, ખ્રિસ્તીઓની વસ્તીમાં ઘટાડો થયો
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં વિશ્વની વસ્તીમાં વધારો થયો છે અને મોટા ભાગનાં ધાર્મિક જૂથોની સંખ્યામાં પણ વધારો થયો છે. છતાં આ ૧૦ વર્ષમાં હિન્દુઓની સંખ્યામાં માત્ર ૧૨ કરોડનો વધારો થયો હતો અને મુસ્લિમોની સંખ્યા ૩૪ કરોડ જેટલી વધી હતી. ખ્રિસ્તી લોકો વૈશ્વિક વસ્તીવધારા કરતાં પાછળ રહ્યા હતા. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા ૨૭૦૦થી વધુ વસ્તીગણતરીઓ અને સર્વેક્ષણોના વિશ્લેષણમાં ઉપરોક્ત જાણકારી મળી હતી.
ખ્રિસ્તીઓ ૨૮.૮ ટકા : ખ્રિસ્તીઓ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક જૂથ રહ્યું છે, પરંતુ બધા સંપ્રદાયોના ખ્રિસ્તીઓને એક જૂથ તરીકે ગણવામાં આવે તો તેઓ આ ૧૦ વર્ષમાં વૈશ્વિક વસ્તીવૃદ્ધિ સાથે ગતિ જાળવી શક્યા નથી. ખ્રિસ્તીઓની સંખ્યા ૧૨.૨ કરોડ વધીને ૨.૩ અબજ થઈ છે. છતાં વિશ્વની વસ્તીના હિસ્સા તરીકે ખ્રિસ્તીઓ ૧.૮ ટકા ઘટીને ૨૮.૮ ટકા થઈ ગયા છે.
ADVERTISEMENT
મુસ્લિમો સૌથી ઝડપથી વિકસતું ધાર્મિક જૂથ : ૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં મુસ્લિમો સૌથી ઝડપથી વિકસતું ધાર્મિક જૂથ હતું. મુસ્લિમોની સંખ્યામાં ૩૪.૭ કરોડનો વધારો થયો હતો, જે અન્ય તમામ ધર્મો કરતાં વધારે છે. વિશ્વની મુસ્લિમ વસ્તી બે અજબ છે અને તેમનો હિસ્સો ૧.૮ પૉઇન્ટ વધીને ૨૫.૬ ટકા થયો છે.
હિન્દુઓની વસ્તી ૧૪.૯ ટકા : વિશ્વની કુલ વસ્તી જેટલા દરે વધે છે એટલો જ દર હિન્દુઓની વસ્તીમાં વધારાનો રહ્યો હતો. હિન્દુઓની સંખ્યા ૧૨.૬ કરોડ વધીને ૧.૨ અબજ થઈ હતી. વૈશ્વિક વસ્તીના પ્રમાણમાં હિન્દુઓ ૧૪.૯ ટકા પર સ્થિર રહ્યા હતા.
બૌદ્ધ વસ્તીમાં ઘટાડો : બૌદ્ધ એકમાત્ર મુખ્ય ધાર્મિક જૂથ છે જેમની વસ્તી ૨૦૨૦માં એક દાયકા પહેલાં કરતાં ઓછી હતી. વિશ્વભરમાં બૌદ્ધોની સંખ્યા ૧.૯ કરોડ ઘટીને ૩૨.૪ કરોડ થઈ હતી. વૈશ્વિક વસ્તીના હિસ્સા તરીકે બૌદ્ધો ૦.૮ પૉઇન્ટ ઘટીને ૪.૧ ટકા થયા હતા.
નાસ્તિકોની સંખ્યા વધી : કોઈ ધાર્મિક જોડાણ ન ધરાવતા લોકો જેમને ક્યારેક નોન્સ અથવા તો નાસ્તિક કહેવામાં આવે છે તેમની સંખ્યામાં વધારો થયો હતો. નાસ્તિક લોકોની સંખ્યા ૨૭ કરોડ વધીને ૧.૯ અબજ થઈ ગઈ છે. તેમનો હિસ્સો લગભગ એક ટકા જેટલો વધીને ૨૪.૨ ટકા થયો હતો..
યહૂદીઓ ૧૦ લાખ વધ્યા : વિશ્વની વસ્તીના હિસ્સા તરીકે યહૂદીઓ પણ સ્થિર રહ્યા હતા. વિશ્વભરમાં યહૂદીઓની સંખ્યા લગભગ ૧૦ લાખ વધીને ૧.૪૮ કરોડ થઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ યહૂદીઓ આ અભ્યાસમાં સૌથી નાનું જૂથ હતું જે વિશ્વની વસ્તીના લગભગ ૦.૨ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
અન્ય ધર્મોનો હિસ્સો ૨.૨ ટકા : બહાઈ, તાઓવાદી, જૈન, સિખ, લોક ધર્મોના અનુયાયીઓ અને અસંખ્ય બીજાં જૂથો સહિત અન્ય તમામ ધર્મો સંયુક્ત રીતે વિશ્વના બાકીના ભાગ સાથે વિસ્તર્યા હતા. વૈશ્વિક વસ્તીમાં તેમનો હિસ્સો ૨.૨ ટકા પર સ્થિર રહ્યો હતો.
૭૫.૮ ટકા આસ્તિક, ૨૪.૨ ટકા નાસ્તિક : સામૂહિક રીતે ૨૦૨૦ સુધીમાં વિશ્વના ૭૫.૮ ટકા લોકો કોઈ ને કોઈ ધર્મ સાથે સંકળાયેલા હતા, પણ બાકીના ૨૪.૨ ટકા લોકો કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા નહોતા. એને કારણે કોઈ ધાર્મિક જોડાણ ન ધરાવતા લોકો ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પછી આ અભ્યાસમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું જૂથ બન્યા હતા.
કોની વસ્તી વધી, કોની ઘટી?
ધર્મ ૨૦૧૦ (ટકા) ૨૦૨૦ (ટકા) વધઘટ
ખ્રિસ્તી ૩૦.૬ ૨૮.૮ -૧.૮
મુસ્લિમ ૨૩.૯ ૨૫.૬ +૧.૮
નાસ્તિક ૨૩.૩ ૨૪.૨ +૦.૯
બૌદ્ધ ૪.૯ ૪.૧ -૦.૮
હિન્દુ ૧૫ ૧૪.૯ --
અન્ય ૨.૨ ૨.૨ --
યહૂદી ૦.૨ ૦.૨ --

