Operation Sindoor echo on LOC: ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા; ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને LOC પર ગોળીબાર શરૂ કર્યો; પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં 7 સામાન્ય ભારતીય નાગરિકોના મોત થયા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના ૧૫મા દિવસે, એટલે કે મંગળવારે રાત્રે લગભગ ૧.૪૪ વાગ્યે, ભારતે પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, જેનાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor)ના નામે આ હુમલો કર્યો છે. પોતાની હતાશા (Operation Sindoor echo on LOC) વ્યક્ત કરવા માટે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control - LOC) પર આખી રાત ગોળીબાર કર્યો. સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા રાતોરાત કરવામાં આવેલા ભારે ગોળીબારમાં ૭ ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 38 લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા મિસાઇલ હુમલાઓ કર્યા પછી પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન અંગે તેમણે કહ્યું કે, ભારતીય સેના (Indian Army) પણ ગોળીબારનો સમાન જવાબ આપી રહી છે.
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યું હતું કે, ૬ અને ૭ મેની રાત્રે, પાકિસ્તાની સેના (Pakistan Army)એ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તોપમારો પણ સામેલ હતો. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ૭ સામાન્ય નાગરિકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતકોમાં એક મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે જેનું ઘર પૂંચ (Poonch) જિલ્લાના માનકોટ (Mankot) વિસ્તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું. તેની ૧૩ વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્ટરમાં લગભગ ૪૮ અન્ય નાગરિકો પણ ઘાયલ થયા છે.
અધિકારીઓએ આદેશ આપ્યો છે કે બુધવારે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વિભાગીય કમિશનર રમેશ કુમારે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રહેશે.’
માનકોટ ઉપરાંત, જમ્મુ ક્ષેત્રના રાજૌરી (Rajouri) જિલ્લાના પૂંચના કૃષ્ણા ઘાટી (Krishna Ghati) અને શાહપુર સેક્ટર (Shahpur sectors), લામ (Lam), માંજાકોટ (Manjakot) અને ગંભીર બ્રહ્માના (Gambhir Brahmana) અને ઉત્તર કાશ્મીરના કુપવાડા (Kupwara) અને બારામુલ્લા (Baramulla) જિલ્લાના કરનાહ (Karnah) અને ઉરી (Uri) સેક્ટરમાં સરહદ પારથી ભારે ગોળીબારના અહેવાલો મળ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરહદની રક્ષા કરી રહેલા ભારતીય સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે બંને પક્ષો વચ્ચે સરહદ પારથી ગોળીબાર ચાલુ હતો. પાકિસ્તાની ગોળીબારને કારણે લોકોને ભૂગર્ભ બંકરોમાં આશ્રય લેવો પડ્યો હતો. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલા પછી વધેલા તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબારની આ સતત ૧૩મી રાત હતી.
નોંધનીય છે કે, પહેલગામ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ભયાનક હત્યાકાંડના જવાબમાં, ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) આતંકવાદી સંગઠનનો મુખ્ય ઠેકાણો બહાવલપુર (Bahawalpur)નો પણ સમાવેશ થાય છે. ભારતીય સેનાએ રાત્રે ૧.૪૪ વાગ્યે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લશ્કરી હુમલાઓ `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor) હેઠળ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશન (Additional Directorate General of Public Information - ADGPI)એ એક્સ પર લખ્યું હતું કે, `પાકિસ્તાને ફરી એકવાર પૂંછ-રાજૌરી વિસ્તારમાં ભીમ્બર ગલીમાં તોપમારો કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.`

