૨૦૨૩માં પ્રેમાનંદ મહારાજને મળ્યા બાદ વિરાટ કોહલીની કરીઅરમાં મોટો બદલાવ આવ્યો હતો એવું તેના ફૅન્સ માને છે
વિરાટ કોહલીના આધ્યાત્મિક ગુરુ વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા
આખરે ૧૮ વર્ષ સુધી રાહ જોયા બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કપ જીતતાં વિરાટ કોહલીના આધ્યાત્મિક ગુરુ વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. લોકો માને છે કે જ્યારે પણ વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન જાય છે ત્યારે તેની કારકિર્દીમાં હંમેશાં કંઈક સારું થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ત્રણ વખત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લઈ ચૂક્યાં છે. તાજેતરમાં વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ જાહેરાતના બીજા જ દિવસે વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યાં હતાં. પ્રેમાનંદ મહારાજે તેમની સાથે લગભગ ૧૫ મિનિટ વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટે નિષ્ફળતાને કેવી રીતે દૂર કરવી એ વિશે મહારાજ પાસેથી સલાહ માગી હતી. પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી વિરાટ કોહલીનું જીવન બદલાઈ ગયું હોવાનું લોકો માની રહ્યા છે.
આ વર્ષે બે વાર મુલાકાત લીધી
ADVERTISEMENT
વિરાટ કોહલીની ટીમે ૨૦૦૮માં શરૂ થયેલી IPL ટુર્નામેન્ટમાં ક્યારેય કપ જીત્યો નહોતો. ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ RCBને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા યુઝર્સ માને છે કે પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી વિરાટ કોહલીનું IPL કપ જીતવાનું સ્વપ્ન સાકાર થયું છે. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં વિરાટ અને અનુષ્કા તેમનાં બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા વૃંદાવન આવ્યાં હતાં.
૨૦૨૩માં વિરાટ વૃંદાવન ગયો હતો
૨૦૨૩ના જાન્યુઆરીમાં પહેલી વાર વિરાટ પત્ની અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યો. આ મુલાકાત પહેલાં વિરાટ તેની કારકિર્દીના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં તેનું બૅટ ભારે ફ્લૉપ રહ્યું હતું. તે પાંચ ટેસ્ટ-મૅચમાં ફક્ત ૧૯૦ રન જ બનાવી શક્યો હતો. તેની નબળી ઇનિંગ્સ જોઈને લોકો સતત તેને નિવૃત્તિ લેવાની માગ કરી રહ્યા હતા.
૩ વર્ષ પછી પહેલી વાર સદી ફટકારી
પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી જાણે કે વિરાટ કોહલીનું જીવન બદલાઈ ગયું હતું. આ મુલાકાત બાદ કોહલીએ શ્રીલંકા સામેની મૅચમાં ત્રણ વર્ષ પછી પોતાની પહેલી સદી ફટકારી હતી. પછી વિરાટે ટેસ્ટ-ક્રિકેટમાં પણ સદી ફટકારી. ૨૦૨૩થી અત્યાર સુધી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણ છે કે પ્રેમાનંદ મહારાજમાં તેના પરિવારનો વિશ્વાસ વધી ગયો છે. હવે તે વારંવાર તેમના આશ્રમમાં આવવા લાગ્યો છે.
કોણ છે પ્રેમાનંદ મહારાજ?
પ્રેમાનંદ મહારાજ રાધારાણીના મહાન ભક્ત છે. તેઓ તેમના ભજન, સત્સંગ અને જ્ઞાન માટે જાણીતા છે. વૃંદાવનમાં તેમનો શ્રી હિત રાધા કેલી કુંજ ટ્રસ્ટ નામનો આશ્રમ છે. આ સંસ્થા ભક્તિ, સમાજ કલ્યાણ, મફત ભોજન, તબીબી સારવાર અને રહેવા જેવી સુવિધાઓ પૂરી પાડે છે. દેશ-વિદેશથી ભક્તો દરરોજ પ્રેમાનંદ મહારાજનાં દર્શન કરવા આવે છે. તેમના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે.

