રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર ગામમાં રહેતા માંગીલાલ સૈની ૯૭ વર્ષની પાકટ વયે પણ સ્વસ્થ હતા
માંગીલાલ
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર ગામમાં રહેતા માંગીલાલ સૈની ૯૭ વર્ષની પાકટ વયે પણ સ્વસ્થ હતા. તેમના જીવનનો એક જ રસનો વિષય હતો પત્તાંની ગેમ રમવી. જ્યારે પણ દાદા પત્તાં રમે એટલે ખીલી ઊઠે. માંગીલાલની સાથે પત્તાં રમવા આવનારાઓની કદી ખોટ નહોતી પડતી. તેમના દોસ્તો રોજ થોડાક કલાકો પત્તાં રમવા અચૂક આવતા. જોકે બે દિવસ પહેલાં માંગીલાલ દોસ્તો સાથે તેમની મનગમતી ગેમ રમી રહ્યા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા. તેમના શ્વાસ બંધ થઈ ગયા. ભલાચંગા માંગીલાલ એમ જ અચાનક છોડીને જતા રહ્યા એ નવાઈની વાત હતી. જોકે જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે દોસ્તોએ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે અગ્નિદાહ આપ્યા પછી જ્યારે બધા સ્મશાનઘાટ પર બેઠા હતા ત્યારે દોસ્તોએ માંગીલાલની યાદમાં તેમની ચિતાની હાજરીમાં છેલ્લી એક વાર પત્તાંની ગેમ રમી હતી. આ અનોખી શ્રદ્ધાંજલિ ગામમાં ચર્ચાનો વિષય બની હતી. મોટા ભાગના લોકોએ દોસ્તીની આ મિસાલને વખાણી હતી. પરિવારજનોને એમાં કોઈ વાંધો નહોતો.
