T20 વર્લ્ડ કપમાં ભારત સામે મૅચ રમવા ICC સમક્ષ ડ્રામેબાઝ પાકિસ્તાને દ્વિપક્ષીય સિરીઝ શરૂ કરવા જેવી ડિમાન્ડ મૂકી
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
કોલંબોમાં ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની T20 વર્લ્ડ કપ મૅચનો બૉયકૉટ-વિવાદ સમાપ્ત થાય એવા અહેવાલો સામે આવી રહ્યા છે. હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે લાહોરમાં યોજાયેલી મીટિંગ બાદ ભારત સામેની મૅચ રમવા વિશેના નિર્ણયનો પુનર્વિચાર કરવાનો પ્રસ્તાવ પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફના ટેબલ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાન સરકાર આ મામલે યુ-ટર્ન લે એવી અપેક્ષા છે.
અહેવાલો અનુસાર ICCના ડેપ્યુટી ચૅરમૅન ઇમરાન ખ્વાજા સામે પાકિસ્તાનના અધ્યક્ષ મોહસિન નકવી અને બંગલાદેશના અમીનુલ ઇસ્લામે કેટલીક ડિમાન્ડ પણ મૂકી છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ ફરી શરૂ કરવાની સાથે બંગલાદેશ, ભારત સાથે ત્રિકોણીય સિરીઝ શરૂ કરવાની ડિમાન્ડ કરી હતી. પાકિસ્તાન ભારત સાથેનો નો-હૅન્ડશેક વિવાદ પણ ખતમ કરવા ઇચ્છે છે. આ વર્ષે રદ થયેલી ભારતની બંગલાદેશ-ટૂરની દ્વિપક્ષીય સિરીઝના આયોજન પર ફરી ચર્ચા થાય, બંગલાદેશ અને પાકિસ્તાનના રેવન્યુ શૅરમાં વધારો કરાવવામાં આવે એવી ડિમાન્ડ પણ મૂકવામાં આવી છે.


