જોકે બૅન્ગલોર ટૉપ ટૂમાં સ્થાન પાક્કું કરવા માટે છે ફેવરિટ
શ્રેયસ ઐયર અને રજત પાટીદાર
ધરમશાલામાં આજે બપોરે ૩.૩૦ વાગ્યે IPL 2026ની ૬૧મી મૅચ રમાશે જેમાં ગઈ સીઝનના બન્ને ફાઇનલિસ્ટ્સ પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ ફરી બાથ ભીડશે. બૅન્ગલોરે પ્લેઑફમાં સ્થાન ઑલમોસ્ટ કન્ફર્મ કરી લીધું છે અને હવે તેમનો ટાર્ગેટ ટૉપ ટૂમાં જળવાઈ રહેવાનો છે, જ્યારે પંજાબ ટૉપ પરથી સડસડાટ ગબડી રહ્યું છે. સતત પાંચ પરાજય બાદ આજે પણ હારનો સિલસિલો ન અટક્યો તો આ સીઝનમાંથી વહેલી વિદાય નક્કી થઈ જશે. ગયા વર્ષે ફાઇનલની જેમ આજે જીતવા માટે બૅન્ગલોર ફેવરિટ છે, કેમ કે બન્ને ટીમ વચ્ચેની છેલ્લી ૭ મૅચમાંથી ૬માં બૅન્ગલોરની જીત થઈ છે. ગઈ સીઝનમાં ૪માંથી ફાઇનલ સહિત ૩ ટક્કરમાં બૅન્ગલોરની જીત થઈ હતી. ધરમશાલામાં બન્ને અત્યાર સુધીમાં બે વાર ટકરાઈ ચૂક્યાં છે અને ૧-૧ જીત સાથે બરોબરીમાં છે. ૨૦૧૧માં પહેલી ટક્કર પંજાબ ૧૧૧ રનથી જીત્યું હતું, પણ ૨૦૨૪માં બૅન્ગલોરે ૬૦ રનથી જીત મેળવીને બદલો લઈ લીધો હતો.
કોહલી-ભુવી પર હશે નજર
ADVERTISEMENT
આજે ચાહકોની નજર વિરાટ કોહલી પર રહેશે. દિલ્હી અને પંજાબથી મોટા પ્રમાણમાં કોહલીના ચાહકો ધરમશાલા પહોંચી ગયા છે. છેલ્લી મૅચમાં કોહલીની શાનદાર સદી અને આ સીઝનમાં ૧૨ મૅચમાં ૪૮૪ રન સાથેના ફૉર્મને જોતાં ચાહકો વધુ ઉત્સાહી છે. ઉપરાંત અન્ય અનુભવી ખેલાડી ભુવનેશ્વર કુમાર પણ આજકાલ બૅન્ગલોરના ફૅન્સનો લાડલો બની ગયો છે. પંજાબના ધાકડ ઓપનર્સ અને ભુવીની ટક્કર માણવા તેઓ ભારે ઉત્સુક છે.
પેસ-અટૅકનું ટેન્શન પંજાબને
ધરમશાલામાં રમાયેલી બન્ને મૅચમાં પંજાબ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ જવાથી આજે કરો યા મરો મુકાબલા માટે માર્કો યાનસેન સહિતના બોલરો ભરપૂર રન લૂંટાવી રહ્યા હોવાથી બોલિંગ-કૉમ્બિનેશન માટે કૅપ્ટન શ્રેયસ ઐયર અને કોચ રિકી પૉન્ટિંગે ખાસ મસલત કરવી પડશે.
