નિષ્ણાતો કહે છે, ‘બાળકો સામે સંક્રમણનું જોખમ મોટું છે, કારણ કે તેમને વૅક્સિન લગાવવાની શરૂઆત હજી થઈ નથી’
વૅક્સિન જીવન બચાવી શકે, પણ સંક્રમણ નથી અટકાવી શકતી:અભ્યાસમાં દાવો
ADVERTISEMENT
બનાસકાંઠામાં કોરોના અટૅક: બીએસએફના ૨૦ જવાનો સંક્રમિત
ગામડાંના ૮૦.૧૦ ટકા અને શહેરના ૩૬ ટકા લોકો વૅક્સિનોફોબિયાના શિકાર
નવા કોવિડ કેસિસમાં ૮૦ ટકા ડેલ્ટા વેરિઅન્ટના કેસ
દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર માટે શરૂઆતમાં ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવતો હતો. દેશમાં નોંધાતા કોવિડ-19ના નવા કેસિસમાં લગભગ ૮૦ ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના હોવાનું ઇન્ડિયન સાર્સ-કોવ-2 જીનોમિક્સ કોન્સોર્શિયમના સહ-અધ્યક્ષ ડૉક્ટર એન. કે. અરોરાએ જણાવ્યું હતું. તેમણે સાવચેતીના સૂરમાં કહ્યું હતું કે જો કોઈ વધુ ચેપી વેરિઅન્ટ આવશે તો કોવિડ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ડેલ્ટા વેરિઅન્ટ એની પહેલાં જોવા મળેલા કોરોના વાઇરસના આલ્ફા વેરિઅન્ટ કરતાં ૪૦થી ૬૦ ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે તેમ જ એ બ્રિટન, અમેરિકા અને સિંગાપોર સહિત લગભગ ૮૦ દેશોમાં પહોંચી ચૂક્યો છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મધ્ય પ્રદેશ સહિત કુલ ૧૧ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ AY.1 અને AY.55-60 કેસમાં મળી આવ્યા છે તેમ જ હાલમાં એની પ્રસારણક્ષમતા, વિષાણુ તેમ જ વૅક્સિનથી બચાવની ક્ષમતા જેવા મુદ્દાઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, એમ ડૉક્ટર અરોરાએ જણાવ્યું હતું.
સિંગાપોરમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા
સિંગાપોરમાં બજારો અને સોશ્યલ ક્લબો ફરી લોકોથી ભરાવા લાગી હોવાથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને વડા પ્રધાન લી સિએન લુન્ગે લોકોને ખૂબ સાવચેતી રાખવાની અપીલ કરી હતી. રવિવારે ૮૮ સ્થાનિક લોકોને અને ૪ વિદેશી નાગરિકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના કિસ્સા નોંધાયા હતા. ખાસ કરીને કરાઓકે ટીવી સોશ્યલ ક્લબોમાં લોકો ફરી ઊમટવા લાગ્યા હોવાથી કોવિડના કેસ હજી વધવાની સંભાવના છે.
શ્રીલંકામાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે
શ્રીલંકામાં એક તરફ ભારત સાથેની ક્રિકેટ સિરીઝ ચાલી રહી હોવાથી ત્યાંના ભારતીય ખેલાડીઓની કોરોના સામેની સલામતીની કરોડો ભારતીયોને ચિંતા છે ત્યાં એવા સમાચાર આવ્યા છે કે શ્રીલંકામાં ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાટનગર કોલંબોમાં નોંધાતા નવા કેસમાં ૩૦ ટકા કેસ ડેલ્ટાના હોવાનું જણાવાયું હતું. શ્રીલંકામાં ત્રીજી લહેર વચ્ચે કોરોનાના રોજ લગભગ ૧૦૦૦ કેસ નોંધાય છે.
કોરોના સંક્રમિતે નવ મહિના ડરવાની જરૂર નથી
કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય એ વ્યક્તિમાં નવ મહિના સુધી ઍન્ટિબૉડીઝ સક્રિય રહેતા હોય છે. ઇટલીના એક શહેરમાં સંશોધન બાદ આવો દાવો કરવામાં આવ્યો છે. ઇટલીની યુનિવિર્સિટી ઑફ પડુઓ અને ઇમ્પીરિયલ કૉલેજ લંડન દ્વારા વો શહેરના ૩૦૦૦ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું જેઓ ગયા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. મે અને નવેમ્બરમાં તેમના શરીરના વાઇરસ સામેની ઍન્ટિબૉડીઝ ટેસ્ટ કરવામાં આવી હતી. જેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં તેમ જ જેમનામાં નહોતાં દેખાયાં આ બન્નેના ઍન્ટિબૉડીઝના સ્તરમાં કોઈ મોટો ફરક પણ નહોતો. રિસર્ચના જણાવ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની સરખામણી કરતાં પહેલાં ઇન્ફેકશનનું સ્તર, કયા ટેસ્ટ તેમ જ કયા સમયે કરવામાં આવે છે એની કાળજી પણ રાખવી જરૂરી છે.
પેગસસનું પ્રકરણ પાયાવિહોણું, ભારતીય લોકશાહીને કલંકિત કરવાનો નવો પ્રયાસ : આઇટી મિનિસ્ટર
કેન્દ્રીય આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે લોકસભામાં ઇઝરાયલી સ્પાયવેર પેગસસના મુદ્દે વિરોધ પક્ષોએ સરકાર પર આક્ષેપ કરવાની સાથે જે હોબાળો મચાવ્યો એ સંદર્ભે ગૃહને કહ્યું કે ‘વૉટ્સઍપ પર પેગસસનો ઉપયોગ કરાયો હોવાના મીડિયાના અહેવાલોમાં કોઈ જ તથ્ય નથી. આ અહેવાલ એ બીજું કંઈ નથી, પણ ભારતીય લોકશાહીને તેમ જ ભારતની સુસ્થાપિત સંસ્થાઓને કલંકિત કરવાનો પ્રયાસમાત્ર છે. ભૂતકાળમાં પણ આવા આક્ષેપ કરાયા હતા અને ત્યારે એમાં પણ કોઈ તથ્ય નહોતું તેમ જ તમામ પક્ષોએ એ અહેવાલ નકાર્યા હતા.’
જાગતિક તપાસલક્ષી પ્રકલ્પમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ઇઝરાયલની એનએસઓ ગ્રુપની પેગસસ સ્પાયવેર કંપનીએ ભારતમાં નરેન્દ્ર મોદી સરકારના બે મહત્ત્વના પ્રધાનો, ત્રણ વિપક્ષી નેતા, એક બંધારણીય સંસ્થા, કેટલાક પત્રકારો, વિજ્ઞાનીઓ તેમ જ વેપારલક્ષી હસ્તીઓ સહિત કુલ ૩૦૦ જણનાં મોબાઇલ ફોન નંબરને ટાર્ગેટ બનાવ્યા છે. આ તમામ લોકોના ફોન ટેપ થયા અને તેમના કામકાજ સંબંધમાં જાસૂસી કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને ગઈ કાલે સંસદમાં આઇટી મિનિસ્ટર વૈષ્ણવે નકાર્યા હતા. કૉન્ગ્રેસે પેગસસ જાસૂસીના મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહને હોદ્દા પરથી ઉતારી દેવાની અને વડા પ્રધાન મોદી સામે તપાસ શરૂ કરવાની માગણી કરી છે.
રાહુલ સહિત અનેક બન્યાં લક્ષ્યાંક : અહેવાલ
ૅધ વાયર’ નામની ન્યૂઝ પોર્ટલે સોમવારે પેગસસ પ્રૉજેક્ટને લગતા બીજા ઘટસ્ફોટમાં જણાવ્યું હતું કે હેકિંગ માટે સંભવિત લક્ષ્યાંક તરીકે જેમના ફોન નંબરની યાદી બનાવવામાં આવી
ચૂકી છે એમાં રાહુલ ગાંધી તેમ જ ભાજપના પ્રધાનો અશ્વિની વૈષ્ણવ તથા પ્રહલાદ સિંહ પટેલ, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજી, ૨૦૧૯માં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈ પર જાતીય સતામણીનો આક્ષેપ કરનાર સુપ્રીમ કોર્ટની સ્ટાફર અને તેના સગાંવહાલાંઓ તેમ જ ચૂંટણીને લગતા વ્યૂહ બનાવનાર પ્રશાંત કિશોર સહિત કેટલાકનો સમાવેશ છે.
હૅકિંગના અહેવાલો ખોટા
પેગસસ સ્પાયવેરની મદદથી અનેક ભારતીય પત્રકારો અને ઍક્ટિવિસ્ટોના ફોનના ટેપિંગના અહેવાલ વચ્ચે ઇઝરાયલસ્થિત એનએસઓ ગ્રુપે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. એનએસઓ ગ્રુપે જણાવ્યું હતું કે આ બાબતે પ્રકાશિત કરવામાં આવેલો રિપોર્ટ વાસ્તવિક નથી અને તેથી એ માનહાનિનો દાવો કરવા વિચારી રહ્યું છે. તેમના સ્રોતોએ જે માહિતી આપી છે એ વાસ્તવિક નથી પરંતુ દ્વેષપૂર્ણ અને સચ્ચાઈથી ઘણી દૂર છે એમ કંપનીએ જણાવ્યું હતું.