Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અહીં આદ્યશક્તિના મુખનાં દર્શન દુર્લભ છે, સન્મુખ તેમની પીઠનાં દર્શન થાય છે

અહીં આદ્યશક્તિના મુખનાં દર્શન દુર્લભ છે, સન્મુખ તેમની પીઠનાં દર્શન થાય છે

Published : 25 May, 2025 12:58 PM | Modified : 26 May, 2025 07:13 AM | IST | Dehradun
Alpa Nirmal

અલબત્ત, ગર્ભગૃહની પાછળની દીવાલમાં રખાયેલા દર્પણ દ્વારા માતાના વદનને નમન કરી શકાય છે

નંદાદેવી કોટ ભ્રામરી મંદિર

તીર્થાટન

નંદાદેવી કોટ ભ્રામરી મંદિર


આપણે કોઈ મંદિરમાં જઈએ તો ગર્ભગૃહમાં પ્રવેશતાં જ સૌપ્રથમ શું દેખાય? ભગવાન કે દેવીમાતાની મૂર્તિ અને તેમનો રોનકદાર ચહેરો, રાઇટ! અરે, આખી પ્રતિમા શણગાર, ફૂલો, ચૂંદડીઓથી લથપથ હોય તોય ચહેરો તો સ્પષ્ટ નજરે ચડે જને. જોકે કાજ્યુલીના નંદાદેવી કોટ ભ્રામરી મંદિરમાં એવું નથી. હા, નંદાદેવીની પ્રાચીન શ્યામલ મૂર્તિનાં સરસ દર્શન થાય છે, તેમનો ચહેરો પણ બરાબર દેખાય છે; પરંતુ એની બાજુમાં બિરાજમાન કોટ ભ્રામરીદેવીની પીઠ દેખાય છે, ચહેરો નહીં. તેમનું મુખ ગર્ભગૃહની દીવાલ પર લગાવેલા અરીસામાંથી જોવાનું રહે છે.


આવું કેમ? માતાજીને આમ કેમ રાખ્યાં હશે? આ રીતે મંદિર કેમ બનાવ્યું હશે? એવા પ્રશ્નો થયાને? અમને પણ થયા હતા. એ વિશે અહીંના પૂજારીને પૂછતાં તેઓ કહે છે, ‘માતાજીની નજર સમક્ષ હિમાલય રહે એ સારુ તેમને એ રીતે સ્થાપતિ કર્યાં છે.’ ઓ.કે. એવું હોય તો ગર્ભગૃહના દરવાજા એ તરફ બનાવાય જેથી ભક્તો ત્યાંથી પ્રવેશે તો માનો ચહેરો ડાયરેક્ટ જોઈ શકે. એના જવાબમાં પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ મંદિર કોણે બનાવ્યું, માને સ્થાપિત કોણે કર્યાં અને ક્યારે કર્યાં એ જ મોટો કોયડો છે. માતાની સ્થાપના પહેલાં થઈ કે મંદિર પહેલાં બન્યું એ પણ એક રહસ્ય છે.’



વેલ, આપણે છીએ ભારતની દેવભૂમિ ઉત્તરાખંડની માનસ યાત્રાએ. કાજ્યુલી વિસ્તાર મંદિરોની નગરી બૈજનાથથી નજીક અને હિલસ્ટેશન કૌસાનીથી ૧૮ કિલોમીટર દૂર છે.


દેવભૂમિ ઉત્તરાખંડને ભારતનો મોસ્ટ પવિત્ર ભૂમિભાગ કહી શકાય. અહીં ચારધામ તો છે જ; સાથે થોડા-થોડા કિલોમીટરના અંતરે અગણિત પૌરાણિક, પ્રાચીન, ચમત્કારિક મંદિરો છે. એમાં આ કોટ ભ્રામરી તો રહસ્યમય પણ ખરું.

મંદિરની કથા જાણતાં પહેલાં આપણે માતા કોટ ભ્રામરીની વાર્તા જાણીએ. શ્રી દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાય તથા દેવી ભાગવત પુરાણના દસમા સ્કંધના તેરમા અધ્યાયમાં આલેખાયેલું છે કે જ્યારે-જ્યારે ત્રણેય લોકમાં અધમો, અસુરો, રાક્ષસોનો રંજાડ વધશે ત્યારે ભીમાદેવી નામે ઓળખાતું મા દુર્ગાનું સ્વરૂપ ભમરાનું રૂપ ધારણ કરશે અને અસુરોનો વધ કરીને મા ભ્રામરીના નામે ઓળખાશે.


ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમાની પાછળ દર્પણ છે. એમાં પીઠનાં દર્શન થાય. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશજીની મૂર્તિઓ પણ છે. 

મા દુર્ગાના આ રૂપની ઉત્પત્તિ અરુણ નામના અસુરનો નાશ કરવા થઈ અને કઈ રીતે માઈએ ત્રણેય લોકના જીવિતોને એ અધમના ઉત્પાતથી મુક્ત કર્યા એ કથા આપણે કર્ણાટકના કટીલ શહેરના દુર્ગા પારમેશ્વરી મંદિરની માનસ યાત્રા વખતે વિસ્તારમાં જાણી હતી. એ ભ્રામરીમાતા કટીલમાં પારમેશ્વરીના નામે શિવલિંગરૂપે પૂજાય છે, જ્યારે કાજ્યુલીમાં ભ્રામરીમાઈરૂપે.

હવે વાત કરીએ આ મંદિરની તો ઇતિહાસ નોંધે છે કે ઈશુ ખ્રિસ્ત પહેલાં ૨૫૦૦ વર્ષ પૂર્વેથી લઈને ઈસવી સનની સાતમી સદી સુધી, મીન્સ ઑલમોસ્ટ બત્રીસસો, યસ ૩૨૦૦ વર્ષ સુધી આ પહાડો પર કલ્ચરી રાજાઓનું રાજ્ય હતું. આ ગાળામાં એક પર્વતની ટોચ પર એ રાજવીઓએ કોટનું નિર્માણ કરાવ્યું અને એમાં તેમનાં કુળદેવી મા ભ્રામરીની મૂર્તિનું સ્થાપન કર્યું. બટ, એક્ઝૅક્ટ્લી કયા રાજાએ, કર્યા વર્ષે એવી કોઈ નોટ નથી. વળી મૂર્તિ સ્વયંભૂ છે કે નિર્મિત એની પણ કોઈ માહિતી નથી. જોકે સ્થાનિક લોકો કહે છે કે કોટ એટલે કિલ્લો બન્યો, માતાજી અહીં આવ્યાં ત્યારથી પહાડી પ્રજા તેમને પૂજે છે. આ વાત સત્ય હોઈ શકે છે, કારણ કે ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે આઠમી સદીમાં થઈ ગયેલા શંકરાચાર્ય જ્યારે બદરી-કેદારની યાત્રાએ આવ્યા હતા ત્યારે અહીં માતાજીનાં દર્શનાર્થે પધાર્યા હતા. એમ તો સાહિત્યકાર જયશંકર પ્રસાદ રચિત ધ્રુવ સ્વામિની નાટક ગ્રંથમાં પણ લખાયેલું છે કે ચન્દ્રગુપ્ત પણ પોતાના સૈનિકોની ટુકડી સાથે અહીં આવ્યા હતા.

ખેર, શ્રદ્ધા અને ભક્તિને કોઈ સાબિતી કે પ્રમાણની જરૂર નથી હોતી અને પ્રકૃતિએ તો આ દેવળને આપેલું પ્રમાણપત્ર આપણી નજર સમક્ષ છે જ. ઉત્તરાંચલ રાજ્યમાં આવેલી હિમાલયન રેન્જીસના પર્વતો જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડોની સરખામણીએ સૉફ્ટ છે. વધુ બરફ અને વરસાદ થતાં કે પૃથ્વીના પેટાળમાં થોડી પણ હલનચલન થતાં આ પહાડોમાં લૅન્ડ-સ્લાઇડિંગ તરત જ થઈ જાય છે. એવા પોચા પર્વતની ટોચે, નંદાદેવી, ત્રિશૂળ પર્વત શ્રૃંખલાના વિશાલ લૅન્ડસ્કેપમાં કેટલીયે કુદરતી આફતો, પર્યાવરણીય ચૅલેન્જિસોની સામે હજારો હજારો વર્ષો પૂર્વે બનેલો એક કોટ ટકી જાય, એમાં રહેલી મૂર્તિ અકબંધ રહે એ શું પ્રકૃતિનું પ્રમાણપત્ર નથી?

વૃક્ષો અને વેલાઓ પર જેમ ફળોનાં ઝૂમખાં હોય એ રીતે મંદિરના પ્રાંગણમાં ચારેકોર ઘંટોના ઝૂમખાંઓ છે.

બાગેશ્વરથી આવતો ઘુમાવદાર પણ પ્રાકૃતિક નઝારાથી ભરપૂર રસ્તો તમને અડધા કલાકમાં માતાના મઢે પહોંચાડી દે છે. રસ્તામાં દેખાતાં ચાના બાગાન - ટી એસ્ટેટ (એક સમયે ચોખા, બટાટા, રાજમા અને અન્ય શાકભાજીનાં ખેતરો ધરાવતા આ વિસ્તારમાં હવે ચાનું વાવેતર શરૂ થયું છે. ચા રોકડિયો પાક તો ખરો; સાથે ગ્રીન ટી, બ્લૅક ટી વધુ મૉનિટરી ગેઇન આપે છેને), હાઇવેની ધારને લાગીને આવેલાં નાનકા કુમાઉ વિલેજ, દેવદારનાં ઊંચાં મજબૂત વૃક્ષો, દરેક વળાંકે ડોકિયું કાઢતાં હિમાલયનાં બરફાચ્છાદિત શિખરો અને છેક સુધી સાથ આપતા નીરભ્ર, વાદળી આકાશ સાથે સફર કરતાં-કરતાં ક્યારે મંદિરના મુખ્ય દ્વારે પહોંચી જવાય એનો ખ્યાલ જ નથી રહેતો. હિલની ટોચ છે એટલે પાર્કિંગ પછી થોડાં પગથિયાં છે, પણ એ સીડીઓ અહીંના માણસો જેવી જ સરળ છે. ગુલાબી પ્રવેશદ્વારથી મંદિરના પરિસરમાં પહોચતાં હિમાલયન રેન્જનો ૩૬૦ ડિગ્રીનો વ્યુ તો દેખાય છે, પણ એ પહેલાં લોખંડની મોટી-મોટી ફ્રેમો પર હજારોની સંખ્યામાં બાંધેલા નાના-મોટા ઘંટ નજરે ચડે છે. કહે છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે, માનતા માને છે અને એ પૂરી થતાં અહીં ઘંટ ચડાવે છે.

આ ઘંટડીઓનો રણકાર સાંભળતાં-સાંભળતાં આગળ વધો એટલે એકદમ નાનું અને નીચું પ્રવેશદ્વાર ધરાવતું ગર્ભગૃહ નજરે ચડે છે. એમાં એક પ્લૅટફૉર્મ પર નંદાદેવીની બે ફુટ ઊંચી શ્યામલ પથ્થરમાં નિર્મિત સુંદર મૂર્તિ છે. આ પ્રતિમા અહીંના અડધો કિલોમીટરના અંતરે આવેલા ઝાલામાલી ગામમાં હતી. નંદામાતાએ જ તેમના પૂજારીને પોતાની મૂર્તિ અહીં પધરાવવાનો સંકેત કર્યો હતો. ત્યારથી આ શક્તિપીઠમાં આવનારને બે માતૃશક્તિના આશીર્વાદ મળે છે. એ જ પ્લૅટફૉર્મ પર ૧૦-૧૨ ઇંચની માતા કોટ ભ્રામરીની મૂર્તિ છે. શણગાર હોવાથી ચોખ્ખી રીતે તેમની પીઠ દેખાતી નથી, પરંતુ એ પ્લૅટફૉર્મની પછીતેની દીવાલે જડેલી આરસીમાં માતાના મુખનાં દર્શન થાય છે.

મેળા દરમ્યાન અને વર્ષભર આવતા યાત્રાળુઓ તથા સ્થાનિક દર્શનાર્થીઓના આવગમનને કારણે ગર્ભગૃહની ફરતે વિશાળ પરિસર બનાવવામાં આવ્યો છે અને ત્યાંથી જ ચારેય દિશામાં હિમાલયનાં દર્શન થાય છે. મંદિરમાં પાણી અને સૅનિટેશનની સુવિધા છે. એ સિવાય કોઈ હાટડી કે ટી-સ્ટૉલ નથી એટલે અહીંનું આખું વાતાવરણ શાંત અને સ્વચ્છ છે. આ શાંત વાતાવરણને લીધે જ આ જગ્યા જાગ્રત રહી છે. ઇન ફૅક્ટ, આ મંદિર પૉપ્યુલર હોવા છતાં સીડીથી નીચે મંદિરની બહાર પ્રસાદ, શ્રીફળ, ચૂંદડી વેચતી બે-ચાર નાની દુકાનો સિવાય કંઈ નથી.

કાજ્યુલી તીર્થસ્થળ બાગેશ્વરથી નજીક છે અને ત્યાંથી અહીં આવવા ટૅક્સી મળી રહે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી, પરંતુ ગ્રામજનો ટ્રાવેલ કરે છે એ મિની બસ જેવી સવારી બાગેશ્વર મેઇન બજાર, ચૌરાહા પરથી મળી જાય છે. બાગેશ્વર ગામથી કાજ્યુલીનું ડિસ્ટન્સ ૭ કિલોમીટર છે, જ્યારે અહીંના મંદિર સમૂહથી ૩ કિલોમીટર. કૌસાનીમાં રહ્યા હો તો ત્યાંથી પણ વાહન મળી જાય છે.

રહેવા માટે બાગેશ્વરમાં ઘણાં ગેસ્ટ હાઉસ છે તો કૌસાની તો ગિરિમથક છે. અહીં તો અનેક સ્ટે ઑપ્શન છે. ઉત્તરાંચલમાં રાજસ્થાન અને ગુજરાતની જેમ ઢગલાબંધ રેસ્ટોરાં અને ઢાબાઓ છે. એમાંય ચારધામ યાત્રા ચાલુ હોય એ વખતે તો કેટલાંય હંગામી ઢાબાઓ અને રેંકડીઓ શરૂ થઈ જાય છે જે સબ્ઝી-રોટીથી લઈને મોમોઝ અને મૅગી પણ પીરસે છે.

ઉત્તરાંચલ રાજ્ય બે મુખ્ય પ્રદેશમાં વિભાજિત છે - ગઢવાલ અને કુમાઉ. બાગેશ્વર કુમાઉ રીજનમાં છે. હવાઈયાત્રા દ્વારા અહીં આવવું હોય તો મુંબઈથી પંતનગરની ફ્લાઇટ લેવાય અને ૨૦૫ કિલોમીટરની રોડ જર્ની દ્વારા ઑલમોસ્ટ છથી ૮ કલાક ડ્રાઇવ કરો એટલે બાગેશ્વર પહોંચાય છે. રેલવે દ્વારા કાઠગોદામ સ્ટેશને ઊતરવું પડે. મુંબઈથી દરેક અઠવાડિયે એક ટ્રેન કાઠગોદામ જાય છે. કાઠગોદામથી બાગેશ્વરનું અંતર ૧૫૭ કિલોમીટર છે જે રાજ્ય પરિવહન અથવા પ્રાઇવેટ ટૅક્સી દ્વારા પૂરું કરી શકાય છે.

ચૈત્રી નવરાત્રિની પાંચમથી આઠમ ત્રણ દિવસ અહીં કોટ કી માઇકા મેલા લાગે છે અને ભાદરવા સુદ અષ્ટમીએ નંદામાતાનો મેળો ભરાય છે.

કોટ ભ્રામરી મંદિરથી સૂર્યાસ્ત દુનિયાના કોઈ પણ સનસેટ પૉઇન્ટ પરના સનસેટ જેવો શાનદાર દેખાય છે

 બાગેશ્વરમાં આવેલું બાગનાથ મંદિર ૧૪મી સદીમાં બનેલું છે. શિવને સમર્પિત આ મંદિરમાં શિવરાત્રિએ જબરદસ્ત ભીડ રહે છે. એના પરિસરમાં હનુમાનજી, દુર્ગામાતા, કાલિકા, ભૈરવ, ગંગામાઈ આદિનાં અનેક મંદિરો છે. અહીંથી થોડા ડિસ્ટન્સે આવેલાં બૈજનાથ મંદિર, ચંડિકા મંદિર, શ્રી હરુ મંદિર દર્શનીય છે તો ગૌરી ઉડિયાર નામની ગુફામાં પ્રાકૃતિકરૂપે નિર્મિત અનેક શિવલિંગો છે.

 ઉત્તરાખંડનાં આ મંદિરો બારે મહિના ખુલ્લાં રહે છે અને વર્ષભર યાત્રાળુઓનું આવાગમન ચાલુ જ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2025 07:13 AM IST | Dehradun | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK