લખનઉના આમ મહોત્સવમાં ૮૦૦ પ્રજાતિની કેરી જોવા-ચાખવા મળશે
આમ મહોત્સવમાં વિચિત્ર આકારની કેરી સાથે યોગી આદિત્યનાથ. તેમને પોતાના નામની કેરી દેખાડવામાં આવી ત્યારે તેઓ મલકાયા હતા.
ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉના અવધ શિલ્પગ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા આમ મહોત્સવનો શુભારંભ કર્યો હતો. આ મહોત્સવમાં ૮૦૦થી વધુ પ્રજાતિની કેરીઓ રજૂ થઈ છે. એમાંથી એક કેરીની પ્રજાતિને યોગી આમ પણ નામ આપવામાં આવ્યું છે. ૩ દિવસ ચાલનારા આ મહોત્સવમાં ૮૦૦થી વધુ જાતની કેરીઓ જોવા અને એનો સ્વાદ માણવા મળશે. યોગી આદિત્યનાથે આ પ્રસંગે કેરીનાં કેટલાંક કન્ટેનર્સ લંડન અને દુબઈ મોકલવા માટે લીલી ઝંડી આપી હતી.
ઉત્તર પ્રદેશમાં ૩.૨૫ લાખ હેક્ટરમાં કેરીના બાગ છે જેમાં ૬૧.૪૬ લાખ મેટ્રિક ટન કેરી પેદા થાય છે. ભારતમાં પેદા થતી કેરીમાં ૨૭ ટકા હિસ્સો ઉત્તર પ્રદેશનો છે. સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી ઓપન રહેનારા આમ મહોત્સવમાં કેરીઓ ઉપરાંત કેરીનું અથાણું, મુરબ્બા અને અન્ય પ્રોડક્ટ્સ પણ મળશે.

