પરસ્પર દેશો દ્વારા ચીમકી રૂપે વારંવાર ચર્ચામાં આવતા આ લૅન્ડલૉક્સ ક્યાં છે અને એને કારણે ભૌગોલિક સુરક્ષામાં સેંધ લગાવવાથી કયા દેશોનો શું ફાયદો થઈ શકે એ વિશે જાણીએ
મેપ
બંગલાદેશના મુખ્ય સલાહકાર પદે બેઠેલા મોહમ્મદ યુનુસ ભારતનાં નૉર્થ-ઇસ્ટ રાજ્યોને મુખ્ય ભારતની ભૂમિ સાથે જોડતા સિલિગુડી કૉરિડોરના પાતળા પટ્ટાને સંવેદનશીલ ગણાવીને આડકતરી ધમકી આપી રહ્યા છે ત્યારે આસામના હેમંત બિસ્વા સર્માએ પણ તેમના દેશના બે ભૌગોલિક સ્પૉટ્સ અલગ તારવીને વળતો જવાબ આપ્યો છે. પરસ્પર દેશો દ્વારા ચીમકી રૂપે વારંવાર ચર્ચામાં આવતા આ લૅન્ડલૉક્સ ક્યાં છે અને એને કારણે ભૌગોલિક સુરક્ષામાં સેંધ લગાવવાથી કયા દેશોનો શું ફાયદો થઈ શકે એ વિશે જાણીએ
વર્ષો પહેલાં ‘અમને અલગ દેશ જોઈએ, અલગ દેશ જોઈએ’ની જીદ કરીને અલગ થયેલું પાકિસ્તાન જન્મ્યું ત્યારથી ઘૂસણખોરી, ડ્રગ્સ, આતંકવાદ જેવા અનેક મુદ્દે ભારત માટે માથાનો દુખાવો બની રહ્યું છે. બીજી તરફ બંગલાદેશ છાશવારે એના જ બાપ સામે બાંયો ચડાવે છે. આ એ જ દેશ છે જે ઈસ્ટ પાકિસ્તાન હતું ત્યારે આંતરિક વિગ્રહ અને જુલમને કારણે રડતું-રડતું બાપ (ભારત) પાસે આવ્યું હતું અને એક જવાબદાર માવતર તરીકે ભારતે એને મદદ કરીને ઈસ્ટ પાકિસ્તાનમાંથી બંગલાદેશ નામના નવા દેશ તરીકેની ઓળખ અપાવી.
ADVERTISEMENT
પાકિસ્તાનને અનેક વાર પાઠ ભણાવવા છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યું. એ જ રીતે બંગલાદેશ પણ કૂતરાની પૂંછડી પુરવાર થઈ રહ્યું છે. દેશ ભલે નવો બન્યો હોય, પણ આખરે જાત તો પાકિસ્તાની ખરીને. આથી જ હજી તો મોટા ભાઈને ફરી એક વાર પાઠ ભણાવીને પરવાર્યા નથી ત્યાં નાનો કપાતર છંદે ચડીને પોતાની જાત દેખાડી રહ્યો છે. શેખ હસીનાની આગેવાની હેઠળ ચાલતા બંગલાદેશમાં સત્તાપલટો થયો ત્યારથી અમેરિકાનું રમકડું, જેને ચીન અને પાકિસ્તાન સામે ઝૂકી-ઝૂકીને જીહજૂરી કરવામાં અનેરો આનંદ મળે છે, એવા મોહમ્મદ યુનુસ હવે અંતરિમ સરકાર અથવા સલાહકાર તરીકે બંગલાદેશની રાજગાદીએ બેઠા છે. વર્ષોવર્ષથી જે દેશ તરફથી બધી જ રીતની મદદ, ભીખ અને સોહાર્દ મળ્યું છે એવા ભારતનો દબદબો આખા વિશ્વમાં વધતો જઈ રહ્યો છે એ યુનુસને આંખના કણાની જેમ ખૂંચે છે. હમણાં બે મહિના પહેલાં યુનુસ ચીનની યાત્રાએ ગયા હતા ત્યારે તેમણે પોતાની જાત દેખાડતાં એવું નિવેદન કર્યું હતું કે ‘ભારતનાં પૂર્વોત્તર રાજ્યો જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે એ જમીનના માત્ર એક સાંકડા ભાગથી જોડાયેલાં છે. એ રાજ્યો ‘લૅન્ડલૉક સિચુએશન’માં છે અને એમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. આથી બંગાળ તરફના આખા સમુદ્રનો માત્ર એક ગાર્ડિયન છે - બંગલાદેશ! આ ભૌગોલિક પરિસ્થિતિ રોકાણ માટેની ઉત્તમ તક પૂરી પાડે છે.’
યુનુસના આ નિવેદન સામે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સર્માએ ગયા રવિવારે જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે ‘જે લોકો ભારતના ચિકનનેક કૉરિડૉરની વાત કરે છે તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના દેશમાં એક નહીં બે-બે ચિકનનેક છે અને એ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત નબળી છે, મુડદાલ હાલતમાં છે. તો ભારતને ધમકાવવાનો પ્રયત્ન તો શું વિચાર પણ કરતાં પહેલાં એ યાદ રાખવું કે એમની એ બે ચિકનનેકની શું હાલત થઈ શકે છે?’
તો ભૌગોલિક દૃષ્ટિએ, કૂટનીતિના સંદર્ભે અને પાડોશી દેશો સાથેના સીમાંત વિસ્તારમાં આવેલી ભારત માટે અત્યંત મહત્ત્વની એવી આ ચિકનનેક શું છે, ક્યાં છે, કેમ છે, કેવી છે... વગેરે વગેરે બધું જ આજે થોડું વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ.
ભૌગોલિક સ્થાન
ભારતનાં સાત પૂર્વોત્તર રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મિઝોરમ અને મણિપુર જેમને વિશ્વ આખું ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખે છે એ સાતે રાજ્યો પશ્ચિમ બંગાળના સિલિગુડી કૉરિડૉર દ્વારા ભારતની મેઇનલૅન્ડ સાથે જોડાયેલા છે. ભારતની ભૂમિનો આ પ્રદેશ અત્યંત સાંકડો છે. એટલો સાંકડો કે ૬૦ કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર તો માત્ર બાવીસ કિલોમીટર જેટલો જ પહોળો છે. જમીનનો આટલો પાતળો હિસ્સો આ સાત રાજ્યોને જોડતો હોવાને કારણે જ એનું નામ પડ્યું ચિકનનેક!
દિશાની દૃષ્ટિએ જોઈએ તો ભારતની આ ચિકનનેક એટલે કે સિલિગુડી ઉત્તરમાં સિક્કિમ, ભુતાન-પૂર્વમાં જલપાઈગુડી અને આસામ, ત્યાંથી દક્ષિણમાં બંગલાદેશ અને બંગાળ અને પશ્ચિમમાં બિહારના કિશનગંજ અને નેપાલથી ઘેરાયેલી છે. સિલિગુડીની બરાબર મધ્યમાંથી મહાનંદા નદી વહે છે જેને કારણે એનો પશ્ચિમી ભાગ દાર્જીલિંગમાં છે અને પૂર્વ ભાગ જલપાઈગુડીમાં.
રસપ્રદ છતાં અજાણ્યો ઇતિહાસ
એક તરફ નેપાલ અને બીજી તરફ બંગલાદેશથી ઘેરાયેલું સિલિગુડી. ‘સિલિ’ અર્થાત્ નાના-નાના પથ્થર અને ‘ગુડી’ અર્થાત્ સ્થાન. મતલબ કે નાના-નાના પથ્થરોવાળું અથવા પથ્થરોથી બનેલું સ્થાન એટલે સિલિગુડી જેનાં મૂળ ક્યાંક નામગ્યાલ રાજ્યવંશમાં મળે છે. ૧૬૪૨ની સાલમાં ફોન્ટસોક નામગ્યાલ નામના રાજવીએ ‘ચોગ્યાલ’ની ઉપાધિ સાથે સિલિગુડી-સિક્કિમનું રાજ્ય મેળવ્યું. જોકે ૧૮મી સદી આવતાં સુધીમાં લગભગ આખેઆખું બંગાળ અંગ્રેજોની ચપેટમાં આવી ચૂક્યું હતું. સિક્કિમ એક સ્વતંત્ર છતાં નાનું રાજ્ય હોવાને કારણે આ સમય દરમ્યાન એવું બન્યું કે નેપાલે સિક્કિમને પોતાના આધીન કરી લેવાનો પ્રયત્ન કર્યો. આ માટે અંગ્રેજો અને નેપાલ વચ્ચે સંઘર્ષ પણ થયો અને આખરે ૧૮૧૭ની સાલમાં સિક્કિમના રાજવીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ કરી લીધી જે ટીટાલિયાની સંધિ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ ૧૮૩૫ની સાલમાં સિક્કિમના રાજવીએ દાર્જીલિંગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું. આ જ દાર્જીલિંગની તળેટીમાં ‘સિલિચા ગુડી’ નામનો પ્રદેશ હતો જે દાર્જીલિંગ જેવા પહાડી વિસ્તારને સમતલ મેદાની વિસ્તાર સાથે જોડતો હતો. હવે આ સિલિચા ગુડીની બરાબર બાજુમાં જ ફાસીદેવામાં સિક્કિમના રાજવંશે એક મુખ્ય મથક બનાવ્યું હતું અથવા એમ કહો કે એક કાર્યાલય બનાવ્યું હતું જ્યાંથી એ આખા વિસ્તારનું શાસન ચાલતું હતું. ફાસીદેવામાં એક નદી આવેલી છે જેનો સિક્કિમ રાજવી બંદરગાહ તરીકે ઉપયોગ કરતા હતા. આ જ કારણથી આજે એ બંદરગાજ તરીકે ઓળખાય છે અને એ જ રીતે સિલિચા ગુડીનું પણ કાળક્રમે નામ બદલાઈને થયું સિલિગુડી!
બંગલાદેેશના ચીફ ઍડવાઇઝર મોહમ્મદ યુનુસ
ત્યાર બાદ ૧૮૬૨ની સાલમાં સિલિગુડીમાં ન્યુ ચુમટા ટી એસ્ટેટ અને માટિયારા ટી એસ્ટેટનું નિર્માણ કરવામાં આવ્યું અને ૧૮૬૯ની સાલ આવતાં સુધીમાં તો જલપાઈગુડીને જિલ્લા તરીકેનો દરજ્જો પણ મળી ગયો. હવે પછીની સાલ ફરી એક વાર આ વિસ્તાર માટે મહત્ત્વની તારીખ લઈને આવી. સાલ હતી ૧૮૭૩ની જ્યારે લૉર્ડ કાર્ન્ડ વાલીસના સમયમાં બંગાળમાં પર્મનન્ટ સેટલમેન્ટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી અને આ જ કારણ આગળ ધરીને સિલિગુડીને પણ ‘ખાસ જમીન’ના દરજ્જા હેઠળ અંગ્રેજ શાસનમાં સામેલ કરી લેવામાં આવ્યું. આ સમય એવો હતો જ્યારે અંગ્રેજો જે પણ સ્થળને ખાસ જમીનનો દરજ્જો આપતા એ સરકારી જમીન ગણાતી. અર્થાત્ સિલિગુડી પણ હવે ધીરે-ધીરે અંગ્રેજ સરકારી અફસરોની ભૂમિ બની જવાનું હતું અને એવું જ થયું. અંગ્રેજોએ કોઈ આતંકવાદીની જેમ સાલનાં ઝાડનાં જંગલોનું નિકંદન કાઢવા માંડ્યું. દાર્જીલિંગને પ્રૅક્ટિકલ ગ્રાઉન્ડ અને સિલિગુડીને લૉજિસ્ટિક ગ્રાઉન્ડનું નામ આપવામાં આવ્યું. શા માટે? કારણ કે સાલનાં ઝાડ કાપીને બનાવેલા મેદાનમાં ચાના બગીચા વિકસાવવાના હતા. અંગ્રેજોનો વેપાર ચાલી નીકળ્યો અને સિલિગુડીને એક નવી જ ઓળખ મળવા માંડી.
આજે પણ સિલિગુડીને ચાર ‘T’નું શહેર કહેવામાં આવે છે. આ ચાર ‘T’ એટલે Tea-ચા, ટિમ્બર, ટ્રેન અને ટૂરિઝમ! સિલિગુડીમાં આ ચારેય ‘T’ એકબીજા પર નિર્ભર છે. પહેલો ‘T’ ચાના બગીચા બનાવવાના હતા એટલે સાલનાં ઝાડ કપાયાં અને બીજો T ટિમ્બર મળ્યું. ત્યાર બાદ ચા ઊગતી, મળતી હોવાને કારણે અહીં સુધી ત્રીજો T ટ્રેન આવી અને ટ્રેન આવી એને કારણે મારવાડના અનેક વેપારીઓ પણ સિલિગુડી સુધી પહોંચ્યા. છોટાનાગપુર, પઠાર અને બિહારની આસપાસથી મજૂરો આવ્યા અને સિલિગુડી જોતજોતામાં ભારતનું મુખ્ય શહેર જ નહીં ચોથો T ટૂરિઝમનું પણ કેન્દ્ર બની ગયું. વિલિયમ વિલ્સન હન્ટરે તો સિલિગુડીને એક ‘અનઇનહેબિટેબલ પ્લેસ!’ તરીકે ગણાવ્યું હતું. અર્થાત્ જ્યાં રહી ન શકાય એવી જગ્યા. ચા અને ટિમ્બરનું મુખ્ય મથક બનતા જઈ રહેલા સિલિગુડીને કારણે જ ૧૯૭૯થી ૧૯૮૧ દરમ્યાન દાર્જીલિંગ-હિમાલયન રેલવેનો પણ અહીં વિકાસ થયો.
ચિકનનેકનું સર્જન
વાત કંઈક એવી છે કે ૧૯૪૭ની સાલમાં અખંડ ભારતના ત્રણ હિસ્સા થશે એવું નક્કી થઈ ચૂક્યું હતું. ત્યારે પાકિસ્તાન બે ભાગમાં અસ્તિત્વમાં આવ્યું. એ વખતે ભારતનાં કુલ બે રાજ્યો અલગ-અલગ દેશોમાં વિભાજિત થયાં. એક હતું પંજાબ, જેનો અડધો હિસ્સો પાકિસ્તાનમાં ગયો અને બાકીનો અડધો ભારતમાં. એ જ રીતે પૂર્વમાં બંગાળના પણ બે હિસ્સા થયા - પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. હવે બંગાળના છૂટા પડેલા એ પૂર્વ હિસ્સાને કહેવાયું ઈસ્ટ પાકિસ્તાન. જોકે જીદમાં મગાયેલો અલગ દેશ અને પરિપક્વતા કે દૂરંદેશીના નામે શૂન્ય એવા પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ અને સૌહાર્દ રહ્યું જ નહીં. પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાએ જ આતંક મચાવવા માંડ્યો. હજારો-લાખો સ્ત્રીઓને બંદી બનાવી અને બળજબરીએ બળાત્કાર કરવાથી લઈને પુરુષોની કત્લેઆમ સુધીની અનેક હેવાનિયત આચરવા માંડી. આખરે પોતાના જ દેશની આર્મી અને સત્તાધીશોના આતંકથી ત્રાહિમામ્ થયેલા પૂર્વ પાકિસ્તાનીઓએ પોતાના જ દેશથી અલગ થઈ જવું છે એમ વિચારીને ચળવળ શરૂ કરી. આંતરિક વિગ્રહની પરિસ્થિતિ સર્જાઈ અને પોતાના બાપ એટલે કે ભારત પાસે મદદ મેળવવાની આશાએ દયાની ભીખ માગવાનો સિલસિલો શરૂ થયો. ‘છોરું કછોરું થાય પણ માવતર...!’ એ રૂએ ભારતે પૂર્વ પાકિસ્તાનને પોતાનું અલગ અસ્તિત્વ મેળવવામાં મદદ કરી અને ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજું યુદ્ધ થયું. ભારતની બાહોશ સેના પશ્ચિમ પાકિસ્તાનના લાહોર સુધી પહોંચી ગયેલી અને ૯૩,૦૦૦ કરતાં પણ વધુ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેના દ્વારા બંદી બનાવવામાં આવ્યા. આ બધું જ બંગલાદેશ હવે ભુલાવી ચૂક્યું છે.
૧૯૪૭માં દેશના ત્રણ ભાગ પડ્યા ત્યારે જે સીમારેખા દોરવામાં આવી હતી એમાં પૂર્વનાં સાત રાજ્યો સાથે ભારતને જોડતો પશ્ચિમ બંગાળનો એક અત્યંત પાતળો જમીની હિસ્સો આપણને મળ્યો. આ ભાગલા થયા ત્યારે જમીનના આ પાતળા હિસ્સાને પૂર્વી પાકિસ્તાન અને નેપાલની વચ્ચે ગવર્ન કરવાવાળા એક સબડિવિઝન તરીકે ઓળખવામાં આવ્યો. અર્થાત્, જમીનના આ ભાગથી એક તરફ નેપાલ અને બીજી તરફ પૂર્વી પાકિસ્તાન પર નજર રખાશે જેને આજે આપણે ચિકનનેક તરીકે ઓળખીએ છીએ.
કેમ આટલી મહત્ત્વની છે ચિકનનેક?
ભારત માટે તો સૌથી મોટું કારણ એ જ છે કે જો આ ચિકનનેક નહીં રહે તો ભારત એનાં સાત-સાત રાજ્યો સાથેનો જમીની કૉન્ટૅક્ટ ગુમાવી બેસે. આ સિવાય આંતરરાષ્ટ્રીય પૉલિટિક્સ અને કૂટનીતિની દૃષ્ટિએ પણ ચિકનનેક ભારત માટે ખૂબ મોટી ચાવીરૂપ છે. એક તરફ નેપાલ અને ભુતાન સાથેના વ્યાપારિક અને સૈન્ય-સંબંધો જાળવી રાખી શકાય છે. ભુતાન અને નેપાલ વચ્ચેના વ્યાપારના ધોરી માર્ગ તરીકે ભારત મહત્ત્વની કડીરૂપ ભૂમિકા ભજવી શકે છે. આ જ ચિકનનેકને કારણે ચીન અને બંગલાદેશ વચ્ચેનો સીધો સંપર્ક ભારત અટકાવી શકે છે અને આ જ ચિકનનેકને કારણે ચીન બંગલાદેશના પોર્ટનો સીધો ઉપયોગ ભારત વિરુદ્ધ કે પોતાના ફાયદા માટે કે એશિયા પર દબાવ જમાવવા માટે ન કરે એની પણ તકેદારી રાખી શકે છે. હવે ભારતનો આ સાંકળો પણ અત્યંત મહત્ત્વનો એવો જમીની હિસ્સો નેપાલ, બંગલાદેશ અને ભુતાન જેવા ત્રણ-ત્રણ દેશો સાથે પોતાની સીમા વહેંચતો હોવાને કારણે રાષ્ટ્રની સુરક્ષા અને કૂટનિતિઓની સાથે જ વ્યાપારની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનો બની જાય છે. આ જ કારણથી ચોવીસે કલાક ચીનની નજર સિક્કિમની દરેક ગતિવિધિ પર પણ હોય છે.
જે રીતે ભારત માટે ચિકનનેક મહત્ત્વની છે એ જ રીતે બીજા પાડોશી દેશો માટે પણ મહત્ત્વની છે. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનને બંગલાદેશ તરીકેનું અસ્તિત્વ મળ્યું ત્યારે ભારત કરતાં બીજા દેશો માટે આ ચિકનનેકનું મહત્ત્વ બેવડાઈ ગયું હતું. ૧૯૭૧ પછી કંઈકેટલાંય વર્ષો દરમ્યાન આ વિસ્તારમાં સ્થિત તિસ્તા અને મહાનંદાનાં જંગલો નેપાલ અને બંગલાદેશના માઓવાદીઓ માટે એક સુલભ પૅસેજ જેવો બની રહ્યો હતો. આ પૅસેજ દ્વારા તેઓ છુપાતા-છુપાતા સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે અને એક દેશથી બીજા દેશ સુધીની અવરજવર કરી શકતા હતા.
ભારત સિવાયના દેશો માટે મહત્ત્વ
આપણે બધા જાણીએ છીએ કે ચીન એક વિસ્તારવાદી મનોવૃત્તિ ધરાવતો દેશ છે અને સાથે જ આપણે એ પણ જાણીએ છીએ કે બંગલાદેશ ચીન અને અમેરિકા જેવા દેશો તરફથી મળતી ભીખના ભરોસે જીવે છે. હવે મૂળ વાત કંઈક એવી છે કે ચીને જો દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં પોતાની પહોંચ, વ્યાપાર, ધંધો અને દબદબો વધારવો હોય બંગલાદેશના પોર્ટ પર આધિપત્ય જમાવવું પડે. ભારતના દક્ષિણમાં શ્રીલંકાનો પોર્ટ તો એણે હસ્તગત કરી જ રાખ્યો છે. એ જ રીતે પશ્ચિમમાં પાકિસ્તાનના પોર્ટનું ડેવલપમેન્ટ પણ જોરશોરમાં ચાલી રહ્યું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટથી લઈને એન્જિનિયરિંગ સુધીનું તમામ ચીનનું છે. હવે જો બંગલાદેશનું ચિત્તાગૉન્ગ પોર્ટ પણ એને મળી જાય તો સમગ્ર એશિયા પર તો પોતાનો દબદબો જમાવી જ શકે સાથે જ એના સૌથી મોટા હરીફ એવા ભારતને પણ ચોતરફથી ઘેરી શકે. બીજી તરફ ભિખારી થઈ ચૂકેલા પાકિસ્તાનને પણ રસ છે કે બંગલાદેશ પોતાના તરફી રહીને એને અને ચીનને પોતાના દેશમાં છુટ્ટો દોર આપે જેથી ભારતને ચારે બાજુથી દબાવી શકાય.
ત્રીજી બાજુ નેપાલ અને ભુતાન બન્ને એવા નાના અને ગરીબ દેશો છે કે ૧૯૫૧ની સાલમાં જેમ ચીન તિબેટને ભરખી ગયું હતું એ જ રીતે આ બન્ને દેશોને પણ ચાહે ત્યારે પોતાના બાનમાં લઈ શકે છે. તો આ બધી જ પરિસ્થિતિ સંદર્ભે ભારતની ચિકનનેક એમના માટે અત્યંત મહત્ત્વની બની જાય છે. જો કેમેય કરીને ભારતનો આ સાંકડો હિસ્સો આંચકી લેવામાં આવે તો એક-બે નહીં, ત્રણ-ત્રણ ફાયદા છે. એક, ભારતનો એનાં જ સાત રાજ્યો સાથે જમીની કૉન્ટૅક્ટ તૂટી જશે. બીજો, ચીનને બંગલાદેશ સુધીનો સીધો જમીની માર્ગ મળી જશે અને ત્રીજો, ભારત, નેપાલ અને ભુતાન ત્રણે રાજ્યોની સેનાઓ માટે લડવું દુષ્કર કરી શકાશે. એનું પરિણામ સમયાંતરે એટલું વિકરાળ આવી શકે કે ભારતનાં એ પૂર્વોત્તર સાત રાજ્યો જ ભારત પાસેથી છીનવી લેવામાં આવે.
પ્રયત્નો અનેક પ્રકારે થતા રહ્યા
તેથી જ આ બધી નાલાયકીની મનસા સાથે ચીન અને બંગલાદેશ દ્વારા વર્ષોથી એવા પ્રયત્નો થતા રહ્યા છે કે ભારતનો આ સિલિગુડી કૉરિડૉર અશાંત રહે. ભારત માટે આ એક એવો હિસ્સો છે જ્યાં કુદરતી આપદાથી લઈને આંતરિક વિગ્રહ જેવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો સેના માટે કાર્ય કરવું મુશ્કેલ થઈ પડે. આ જ કારણથી સિક્કિમ અને સિલિગુડીના એ હિસ્સામાં ચીન દ્વારા ફન્ડેડ અને પ્રેરિત રમખાણો સતત થતાં રહે છે. ક્યારેક ત્યાંના રહેવાસીઓ અમે તિબેટનો હિસ્સો હોવાનું કહીને વિગ્રહ સર્જે છે તો ક્યારેક સિક્કિમ આઝાદ હોવાનું કહે છે. કેટલાક વળી સિલિગુડી ચીનનો હિસ્સો હોવાનું કહે છે તો કેટલાક ભારત માટે આ ચિકનનેકને જ ગૂંગળાવી મારવાની વાત કરે છે.
દેશદ્રોહીઓ જ્યારે પોતાના દેશમાં જ પડ્યા હોય ત્યારે વિદેશીઓ માટે એનો ફાયદો ઉઠાવવો ખૂબ સહેલું થઈ જાય છે. હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના યાદ હશે જ્યારે ભારત સરકારે UCC, NRC અને CAAના કાયદા વિશે વાત કરી હતી. ત્યારે દેશના જ કંઈકેટલાય નેતાઓ અને સેલિબ્રિટીઝ, જેમાં કનૈયાથી લઈને ઝીશાન અયુબ જેવાઓએ ભારતની ચિકનનેકને તોડી પાડવાની અને ગૂંગળાવી મૂકવાની વાત કહી હતી. આવા અનેક સોકૉલ્ડ ભારતીયોએ કહ્યું હતું કે ભારતના ચિકનનેક વિસ્તારમાં આપણે બધા મોટી સંખ્યામાં ભેગા થઈને સેના અને ભારત સરકારને મજબૂર કરી મૂકીએ અને એ હિસ્સાને ભારતથી અલગ કરી દઈએ.
બદલાઈ રહેલી પરિસ્થિતિ
પહેલાં શેખ હસીનાને તખ્તા પરથી ઉતારી પાડવામાં આવ્યાં જેમણે બંગલાદેશના સત્તારૂઢ હોવાને નાતે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ મોહમ્મદ યુનુસ વ્યવસ્થાપક અને સલાહકાર તરીકે સત્તારૂઢ થયો અને હવે તેનાં પણ વળતાં પાણી થઈ રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. જેમ જનતા શેખ હસીનાની વિરુદ્ધમાં રસ્તા પર ઊતરી આવી હતી એમ જ હવે દેશની આર્મી મોહમ્મદ યુનુસની વિરુદ્ધ થઈ ગઈ છે.
આથી મોહમ્મદ યુનુસ માટે હવે બંગલાદેશમાં સત્તા ટકાવી રાખવી મુશ્કેલ થતું જઈ રહ્યું છે. જો એણે પોતાના માથે લટકતી આ તલવારનો ભાર ઓછો કરવો હશે તો જનતા અને વિશ્વનું ધ્યાન બીજે દોરવું પડશે અને સાથે જ મદદે આવી શકે એવા પાડોશી દેશોને લાલચનું ગાજર દેખાડવું પડશે. આથી જ એક તરફ પાકિસ્તાન પર થયેલા જવાબી હુમલા ટાણે મોહમ્મદ યુનુસે ભારતના પ્રહારને અમાનવીય ગણાવ્યો હતો અને બીજી તરફ ચીનના ખોળામાં બેસી જઈને એણે ચિત્તાગૉન્ગ પોર્ટ દ્વારા સમુદ્ર અને જમીની માર્ગ દ્વારા એશિયાના બીજા દેશો તરફનો સુલભ માર્ગ કરી આપવાની વાતો કહેવા માંડી છે. એ સંદર્ભમાં જ તેણે કહ્યું કે ભારત એક લૅન્ડલૉક સિચુએશનમાં છે અને બંગાળના દરિયાનો સૂત્રધાર કે દેખરેખ કરનારો એકમાત્ર દેશ છે બંગલાદેશ.
દુખે પેટમાં અને કૂટે માથું
ચીનની યાત્રા અને નિવેદનોની સાથે-સાથે પાકિસ્તાન સાથેનો સંબંધ ગાઢ બનાવી રહેલા મોહમ્મદ યુનુસને વાસ્તવમાં દુખે છે પેટમાં પણ વિશ્વને દેખાડવા માટે એ કૂટી રહ્યા છે માથું! વાસ્તવમાં બંગલાદેશ પરનો જમીની દારોમદાર ઓછો કરવા અને સાથે જ બંગલાદેશને ચોતરફથી કમાનમાં રાખવાના ઉદ્દેશ સાથે ભારતે એક જબરદસ્ત કૂટનીતિ વાપરી છે જેને કારણે બંગલાદેશનું નાક દબાઈ ગયું છે અને એ કારણથી હવે બંગલાદેશ યેનકેન પ્રકારે ભારત પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે વાસ્તવમાં તો મગતરું સિંહ સામે દહાડ મારવાનો પ્રયત્ન કરે એવું છે.
બંગલાદેશનો એ પેટનો દુખાવો એટલે ભારતનો કલાદાન મલ્ટિ-મૉડલ પ્રોજેક્ટ. વાત કંઈક એવી છે કે ૧૯૭૧ની મદદને યાદ રાખીને હમણાં સુધી બંગલાદેશ ભારત સાથે સારા સંબંધો રાખી રહ્યું હતું, પરંતુ પરિસ્થિતિ ધીરે-ધીરે બદલાઈ અને બંગલાદેશ પણ પાકિસ્તાનના રસ્તે ચાલવા માંડ્યું. ભારત અને એની પ્રગતિ એને પણ આંખમાં ખૂંચવા માંડી (જે વાસ્તવમાં તો ચીન અને અમેરિકાને ખૂંચે છે. આથી જ તેઓ સીધા પ્રહાર ન કરતાં પાકિસ્તાન અને બંગલાદેશ જેવાં મગતરાંઓને ફન્ડિંગ કરતાં રહે છે). આથી ભારત માટે હવે વ્યાપારની દૃષ્ટિએ અને પોતાના જ દેશનાં બીજાં રાજ્યો સાથેના વ્યવહારની દૃષ્ટિએ પણ બંગલાદેશનો વિકલ્પ નઠારો સાબિત થવા માંડ્યો જેના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ભારતે પોતાનો એક નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો - કલાદાન!
કલાદાન પ્રોજેક્ટને ‘લુક ઈસ્ટ’ પ્રોજેક્ટ માનવામાં આવે છે. ૨૦૦૮ની સાલમાં મ્યાનમાર સાથે આપણી સંધિ થઈ હતી જે અંતર્ગત મ્યાનમારના સિત્તવે પોર્ટનો ભારત એના પૂર્વના દેશો માટે ઉપયોગ કરશે. એક તરફ જમીની માર્ગ સિલિગુડી કૉરિડૉર (ચિકનનેક) છે તો બીજા વિકલ્પ તરીકે કલાદાન પ્રોજેક્ટ વિકસાવવા અંગે વિચારાયું હતું. જોકે ૨૦૦૮માં થયેલી એ સંધિ પર આગળ કોઈ જ કામ થયું નહીં.
હવે બંગલાદેશ સાથે વણસી રહેલા સંબંધોને જોતાં ભારતે પોતાના કલાદાન પ્રોજેક્ટ પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ પૂરો થયે ભારત બંગાળની ખાડીથી દરિયાઈ માર્ગે મ્યાનમારના સિત્તવે પોર્ટ સાથે જોડાશે. ૫૩૯ કિલોમીટરના આ દરિયાઈ માર્ગે ભારત મ્યાનમાર સુધી પહોંચ્યા બાદ પૂર્વોત્તરમાં વહેતી કલાદાન નદી દ્વારા ૧૫૮ કિલોમીટરના જળમાર્ગે અને ત્યાર બાદ ૧૦૮ કિલોમીટરના જમીની માર્ગે મિઝોરમ, ત્રિપુરાથી લઈને છેક અરુણાચલ સુધી પણ પહોંચી શકશે. આ એક જ પ્રોજેક્ટમાં દરિયાઈ માર્ગ, ત્યાર બાદ નદીનો જળમાર્ગ અને ધોરીમાર્ગ એટલે કે જમીની માર્ગનો પણ ઉપયોગ થઈ રહ્યો હોવાને કારણે એને મલ્ટિ-મૉડલ પ્રોજેક્ટ કહે છે.
આ પ્રોજેક્ટ દ્વારા ભારત એનાં પૂર્વોત્તર રાજ્યો માટે તો માલવહન કરી જ શકશે, સાથે મ્યાનમાર સાથે પણ વ્યાપાર વધારી શકશે અને એશિયાના બીજા દેશો સાથેના સંબંધ, વ્યાપાર અને દરિયાઈ આવ-જા પણ સુલભ બનાવી શકશે. બંગલાદેશ માટે મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે કલાદાન પ્રોજેક્ટને કારણે દરિયાઈ સીમાઓ પર ભારતની આવ-જા અને ચોકીપહેરો બન્ને વધી જશે. બંગલાદેશનું ચિત્તાગૉન્ગ પોર્ટ અને ત્યાં થનારી ઍક્ટિવિટી એક દૃષ્ટિએ જોઈએ તો હંમેશાં ભારતના રડારમાં રહેશે. બીજું, ભારતની પૂર્વોત્તર માટે હમણાં જે એકમાત્ર દારોમદાર ચિકનનેક છે એનું મહત્ત્વ ડોમેસ્ટિક લેવલ પર ઓછું થઈ જશે જેને કારણે ભારત ત્યાં લશ્કર અને ચોકીપહેરો વધારી દે એવું પણ બને.
પાડોશી દેશોની દરમ્યાન ચિકનનેક
પાડોશી દેશો ભલે ભારતની ચિકનનેક પર બેજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો કરતા ફરતા હોય, પરંતુ કદાચ તેમને એ યાદ નથી કે પોતાના દેશમાં પણ ચિકનનેક છે અને એ પણ એવી ભૌગોલિક પરિસ્થિતિમાં છે કે ભારત જ્યારે ચાહે ત્યારે પળવારમાં એ ચિકનનેક દબાવી શકે છે, ગૂંગળાવી શકે છે. અરે, એટલું જ શું કામ, હવે તો ભારત એવી સક્ષમ પરિસ્થિતિમાં છે કે જો ચાહે તો એ દેશની એ ચિકનનેકને પોતાના હસ્તક પણ કરી લઈ શકે.
સૌથી પહેલાં વાત કરીએ બંગલાદેશની તો બંગલાદેશમાં એક નહીં બે-બે ચિકનનેક છે. લગભગ ૮૦ કિલોમીટરનો ઉત્તરી બંગલાદેશ કૉરિડૉર જે દક્ષિણના દિનાજપુરથી દક્ષિણ-પશ્ચિમની ગારોની પર્વતમાળા સુધી લંબાયેલો છે. બંગલાદેશનો આ સીમાંત વિસ્તાર ભારતના આસામ રાજ્ય સાથે પોતાની સીમાઓ વહેંચે છે. ધારો કે કોઈ પણ સંજોગોમાં આ ચિકનનેકનું ગળું પકડી લેવામાં આવે તો બંગલાદેશનું રંગપુર ડિવિઝન આખા દેશથી વિખૂટું પડી જાય.
બીજી બંગલા ચિકનનેક છે ચટગાંવ કૉરિડૉર. ભારતના ત્રિપુરા રાજ્યના દક્ષિણ ભાગની સીમા જે બંગલાદેશ સાથે પોતાની સીમા વહેંચે છે ત્યાંથી લઈને બંગાળની ખાડી સુધીનો આ ૨૮ કિલોમીટરનો વિસ્તાર બાંગલાદેશની બીજી ચિકનનેક છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના દેશનો આ વિસ્તાર તો ભારતની ચિકનનેક કરતાંય વધુ સાંકડો છે. મજાની વાત એ છે કે આ ચટગાંવ કૉરિડૉરની સીમા ભારતના ત્રિપુરા અને મિઝોરમની સીમાઓથી એટલી નજીક છે કે જો ભારતનું સૈન્ય એ ચિકનનેક પર કબજો જમાવી લે તો બંગલાદેશની આર્થિક અને રાજકીય રાજધાની ઢાકાને જોડતો એનો એકમાત્ર માર્ગ સીધો જ બંધ થઈ જાય.
આ સિવાય પાકિસ્તાનમાં પણ ભારતની સીમાને અડોઅડ એક એવી ચિકનનેક છે જેનું ગળું ભારત જ્યારે ચાહે ત્યારે ચપટી વગાડતાંમાં દબાવી શકે એમ છે. આતંકીસ્તાનની એ ચિકનનેક એટલે અખનૂર ડેગર. પાકિસ્તાનના પંજાબમાં આવેલા સિયાલકોટ ડિસ્ટ્રિક્ટનો આ સાંકડો જમીની ભાગ ભારતના જમ્મુ સાથે પોતાની સીમાઓ વહેંચે છે. પાકિસ્તાન માટે અને ભારત માટે સ્ટ્રૅટિજિકલી આ ચિકનનેક એટલી મહત્ત્વની છે કે ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત અને આતંકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમ્યાન પણ એ ખૂબ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં, ૧૯૬૫ના યુદ્ધ દરમ્યાન તો આતંકિસ્તાનની નબળી આર્મીએ આ જ કૉરિડૉર દ્વારા અખનૂર પર કબજો જમાવી લેવાની પણ કોશિશ કરી હતી, પણ શરીરના ચોક્કસ ભાગમાં લાત ખાવા ટેવાયેલા એ લોકોને આપણી બાહોશ આર્મીએ હરાવીને ભગાડી મૂક્યા હતા.
માત્ર ચિકનનેકના મામલે જ નહીં, કોઈ પણ દૃષ્ટિએ ભારતને ધમકાવવાનો કે ડરાવવાનો પ્રયત્ન કરતા નાલાયક પાડોશીઓમાં જો જરા પણ અક્કલ હોય તો હવે એટલું સમજી જવું જોઈએ કે હવેનું ભારત એ ભારત નથી રહ્યું જે વર્ષો પહેલાં હતું. વ્યાપાર-વાણિજ્યથી લઈને સૈન્યબળ અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના તમામ મામલે આ દેશ હવે એવો મહાકાય બની ચૂક્યો છે કે મગતરાંઓને ધૂળ ચટાડતાં હવે એને ચપટીભર સમય પણ નથી લાગતો.

